Vadodara: ખેલૈયાઓએ યુનાઇટેડ વે ગરબા સામે સંયુક્ત ચેરિટી કમિશનરને કરી ફરિયાદ, ગરબાના વ્યવહારો પર કરી તપાસની માગ
વડોદરાના (Vadodara) વિશ્વ વિખ્યાત ગરબા મહોત્સવમાં વિવાદ સર્જાયો હતો. યુનાઇટેડ વેના ગરબામાં બીજા નોરતાએ ખેલૈયાઓએ હોબાળો મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો. નવરાત્રીના બીજા દિવસે ઈન્ટરવલ બાદ પગમાં પથ્થરો વાગતા ખૈલેયાઓએ હોબાળો મચાવ્યો હતો.
આખરે વડોદરામાં (Vadodara) યુનાઇટેડ વે (United Way) ગરબા સામે ફરિયાદ થઈ છે. ગરબા (Garba) રમતા પગમાં પથ્થર વાગ્યા બાદ ખેલૈયાઓએ સંયુક્ત ચેરિટી કમિશનરને ફરિયાદ કરી છે. ખેલૈયા જીતિક્ષા અને નિમિષા ગજ્જરે યુનાઇટેડ વે ગરબાના વ્યવહારો પર તપાસની માગ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે, સખાવતની આડમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ રહી છે. સખાવતી સંસ્થાને ધાર્મિક ઉત્સવો યોજવાની જોગવાઈ નથી. ડોનેશન પાસના નામે જીએસટી વસુલાય તેને ડોનેશન પાસ ન ગણાય. યુનાઇટેડ વેનો કારભાર ચેરિટી કમિશનરને હસ્તક કરવા ખેલૈયાઓએ અનુરોધ કર્યો છે.
વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબા મહોત્સવમાં વિવાદ સર્જાયો હતો. યુનાઇટેડ વેના ગરબામાં બીજા નોરતાએ ખેલૈયાઓએ હોબાળો મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો. નવરાત્રીના બીજા દિવસે ઈન્ટરવલ બાદ પગમાં પથ્થરો વાગતા ખૈલેયાઓએ હોબાળો મચાવ્યો હતો. તો ફૂડ કોર્ટ તથા પાણીના સ્ટેન્ડમાં પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખલૈયાઓ રોષે ભરાયા હતા. જો કે હોબાળાને પગલે માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું. ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા.
ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ
તો બીજી બાજુ મુખ્ય કલાકાર અતુલ પુરોહિતે પણ શાંતિ જાળવવા અપીલ કરી હતી, તેમણે ત્રીજા દિવસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી. પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. તો આ મામલે ગ્રાહક સુરક્ષામાં પણ ખેલૈયાઓએ ફરિયાદ કરી હતી. વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહીં પાસનો ભાવ 5000 હોવા છતા ખૈલેયા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખૈલેયાઓએ વિરોધ નોંધાવ્યો હતો.