Rajkot: રાત્રી કર્ફ્યૂ દરમિયાન શહેરના બે ATM તૂટ્યા, તસ્કરો લાખો રૂપિયા ચોરીને થયા ફરાર
રાજકોટમાં તસ્કરોએ ગત રાત્રિએ એક સાથે 2 એટીએમને પોતાના નિશાન બનાવ્યા છે. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
Rajkot: જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં ગુરૂવારે રાત્રીના સમયે તસ્કરોએ બે એટીએમને નિશાન બનાવ્યા છે. તસ્કરોએ એક્સિસ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને નિશાન બનાવ્યું હતું. ગેસ કટરની મદદથી તસ્કરોએ એટીએમને તોડીને તેમાં રહેલા લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, નવાઇની વાત એ છે કે વર્ષ 2019માં એટલે કે અઢી વર્ષ પહેલા હરિયાણાની ગેંગે આ એટીએમને નિશાન બનાવ્યું હતુ.
CCTV કેમેરા પર કાળો સ્પ્રે માર્યો,મોં છુપાવવા છત્રીનો ઉપયોગ
પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતુ કે જે તસ્કરો એટીએમમાં ચોરી કરવા માટે આવ્યા હતા તેઓએ એટીએમમાં રહેલા તમામ કેમેરાઓ પર કાળા કલરનો સ્પ્રે લગાવી દીધો હતો. એટલું જ નહિ જે સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા તેમાં મોં છુપાવવા માટે છત્રી લઇ આવ્યા હોવાનું સામે આવ્યું હતુ.પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે.
રાત્રી કર્ફ્યૂ વચ્ચે ચોરીથી પોલીસ પેટ્રોલીંગ પર સવાલ
રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. રાત્રે 10 વાગ્યાથી લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ છે તેની વચ્ચે તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને પોલીસ પેટ્રોલીંગ સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.