આવતીકાલે દિલ્લી જશે ભાજપની ટીમ, લોકોને બતાવશે કેજરીવાલનું વાસ્તવિક દિલ્લી મોડલ!
આમ આ દિલ્લી પ્રવાસ કેજરીવાલના વાસ્તવિક મોડલને પ્રજા સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ ટીમ પીએમ મોદીના (PM Modi) ડ્રિમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટાની પણ નિહાળશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘા પડી રહ્યા છે. ત્યારે દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. પરંતુ લોકો કોંગ્રેસને કોરાણે મુકીને આમ આદમી પાર્ટીને મજબૂત વિપક્ષ તરીકે જોઈ રહ્યા છે. ત્યારે પંજાબમાં મળેલી જીત સાથે જ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ વધ્યો છે. આમ આદમી પાર્ટીના પાર્ટી પ્રમુખ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. આ ચૂંટણીને તેઓ એક તક તરીકે જોઈ રહ્યા છે. ત્યારે આ તરફ ભાજપ પણ પોતાના ગઢ ગુજરાતમાં ક્યાંય ગાબડુ પડવા દેવા માંગતું નથી અને તે માટે હવે તેણે નવી વ્યુરચના અમલમાં મુકી હોય તેવું લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ ભાજપની એક ટીમ આવતીકાલે દિલ્લી જવા રવાના થશે. આ ટીમમાં 17 સભ્યો સામેલ હશે. જેમાં ભાજપ મીડિયા ટીમ, પૂર્વ મંત્રીઓ અને વિશ્લેષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી ચૂંટણીના ભાગરૂપે આ પ્રવાસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્લીના મોડેલને લઈને આપ દ્વારા ભાજપને ઘેરવાનો પ્રયાસ થતો હોય છે, ત્યારે હકીકતે આ કેવું મોડલ છે તે પ્રજાને બતાવવામાં આવશે. આમ આ દિલ્લી પ્રવાસ કેજરીવાલના વાસ્તવિક મોડલને પ્રજા સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ ટીમ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટાની પણ નિહાળશે.