Gujarati Video : સુરતવાસીઓને રખડતા ઢોરના ત્રાસથી મળી શકે છે રાહત, હાઈકોર્ટેના આદેશ બાદ SMC એક્શન મોડમાં
હાઈકોર્ટેના આદેશ બાદ સુરત કોર્પોરેશન એક્શન મોડ પર આવી ગયું છે. સુરત કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમે રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરી છે.
રાજ્યમાં સતત રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તેવામાં હાઈકોર્ટેના આદેશ બાદ સુરત કોર્પોરેશન એક્શન મોડ પર આવી ગયું છે. સુરત કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમે વરાછામાં બે ગેરકાયદે તબેલા હટાવી 29 પશુ ખસેડ્યા છે. ઉધનામાં 4 અને રાંદેરમાં 2 મળી કુલ 6 જગ્યા પર ગેરકાયદે તબેલા દૂર કર્યા છે. સુરત કોર્પોરેશને છેલ્લા 15 દિવસમાં 694 રખડતા ઢોર પકડી પાંજરે પૂર્યા છે. જો સુરત અને રાજ્યભરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી આ રીતે કરવામાં આવશે તો રાજ્યમાં રખડતા ઢોરના આતંકથી રાહત મળશે.
રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ હતી
આ અગાઉ ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો.
જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી હતી.