સુરત : ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમને લઈ પોલીસની અપીલથી વિવાદ, વાહનચાલકોને ભોગવવી પડશે અગવડ

આજે સુરતમાં યોજાવા જઈ રહ્યું છે ભાજપનું સૌથી મોટું સ્નેહમિલન. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાનારા આ સ્નેહમિલનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સ્નેહમિલનમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 12:21 PM

સુરતમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને લઈ પોલીસે કરેલી અપીલથી વિવાદ છેડાયો છે. કાર્યક્રમ ભાજપનો છે પણ મુશ્કેલી જનતાને ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પોલીસે ઉધના દરવાજાથી અઠવા ગેટ સુધીના માર્ગને વાહનચાલકો માટે બંધ રાખવા અપીલ કરી છે. જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સુરત શહેરના રિંગ રોડ પર ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા લોકો કે જેઓ અડાજણ, રાંદેર, પાલનપુર પાટિયા વિસ્તારમાં રહે છે. તેમને પોલીસે ઉધના દરવાજાથી ડાબી સાઇડે રોકડિયા હનુમાન મંદિરથી પાલ ઉમરા બ્રિજ થઈને જવા અપીલ કરી છે. આ રસ્તેથી પસાર થવામાં લોકોને 3થી 4 કિલોમીટર ફરીને જવું પડે તેમ છે. એટલું જ નહીં રાંદેર અડાજણ તરફથી રિંગ રોડ કે રેલવે સ્ટેશન તરફ આવવા માંગતા લોકોને પણ એજ રૂટથી જ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં જવાની અપીલ કરાઈ છે..જેથી તેમને પણ 3થી 4 કિલોમીટરનો ફેરો વધી જાય છે.

આજે સુરતમાં યોજાવા જઈ રહ્યું છે ભાજપનું સૌથી મોટું સ્નેહમિલન. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાનારા આ સ્નેહમિલનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સ્નેહમિલનમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે. ભાજપના સ્થાનિક નેતાઓનો દાવો છે કે સ્નેહમિલનમાં આજે 30થી 50 હજાર લોકો ઉમટશે. સ્નેહમિલન સમારોહ માટે સ્ટેજ અને મંડપ બાંધવામાં આવ્યા છે. ખુરશીઓ પણ ગોઠવી દેવાઈ છે. આજે ઉપસ્થિત રહેનારા લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">