Surat: કેસ ઘટતા હોવા છતાં લોકોને સાવચેતી રાખવા મ્યુનિસિપલ કમિશનરની અપીલ, કહ્યું ‘ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટથી થઈ રહ્યુ છે કામ’
સુરત મ્યુનસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 225થી વધારે ધન્વંતરી રથ અને 130 સંજીવની રથના માધ્યમથી કામગીરી કરવામાં આવે છે.
ગુજરાતમાં કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય, પરંતુ કોરોના (Corona)નું સંકટ યથાવત છે. સુરતમાં પણ કોરોનાના કેસમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે કેસ ઘટવા છતાં સાવચેતી રાખવાની ખૂબ જરુર હોવાનું સુરત મ્યુનસિપલ કમિશનર (Surat Municipal Commissioner) બંછાનિધી પાની (Banchhanidhi pani)એ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે ગાઈડલાઈનના પાલનથી જ કોરોના કેસમાં ઘટાડો નોંધાશે.
સુરત સહિત ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી રહી છે. થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ છતાં સુરત મ્યુનસિપલ કમિશનર બંછાનિધી પાનીએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોરોના ટેસ્ટિંગની સામે કોરોના પોઝિટીવ આવતા દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. અલગ-અલગ ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. તેમણે કહ્યું કે આમ છતાં લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.
સુરત મ્યુનસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 225થી વધારે ધન્વંતરી રથ અને 130 સંજીવની રથના માધ્યમથી કામગીરી કરવામાં આવે છે. સાથે સાથે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની પદ્ધતિથી કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ત્રીજીલહેરમાં જે લોકોએ રસી લીધી છે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી. જે લોકોએ રસી ન લીધી હોય તેવા લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે.
સુરત મ્યુનસિપલ કમિશનર બંછાનિધી પાનીએ એમ પણ જણાવ્યુ કે બાળકોમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે. પરંતુ માતા-પિતાએ પોતે અને બાળકોની સાવચેતી રાખવાની જરૂર છે.
આ પણ વાંચો- Budget 2022: આ બજેટમાં સુરત માટે ટેક્સ્ટાઈલ પાર્કની જાહેરાતની વેપારીઓને અપેક્ષા, બે જગ્યાનું પ્રપોઝલ મુકાયું