શક્તિસિંહ ગોહિલે વિપુલ ચૌધરીના કૌભાંડની તપાસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ નીચે કરાવવાની કરી માગ
પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે માગ કરી છે કે 800 કરોડના કૌભાંડની તપાસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ નીચે થઈ જોઈએ.
દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) વિપુલ ચૌધરી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સમગ્ર ભ્રષ્ટાચારની તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના સીટિંગ જજ પાસે કરાવવાની માગ કરી છે. તેમણે કહ્યું રાજ્યની સહકારી સંસ્થાઓમાં સ્પેશિયલ ઓડિટ હાઈકોર્ટના સીટિંગ જજની દેખરેખમાં થાય. જેથી સમગ્ર મામલાની હકીકત સામે આવી શકે છે તો શક્તિસિંહ ગોહિલ ભાજપ (BJP) પર આકરા પ્રહાર કરતા કહ્યું કે મિલિભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તો વાંધો નહીં અને અર્બુદા સેના (Arbuda Sena) ભાજપ વિરોધી સ્ટેન્ડ લે તો ફરિયાદ કરવામાં આવે છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે મારી માગણી છે કે આ 800 કરોડના ભ્રષ્ટાચારની તપાસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ નીચે થવી જોઈએ. આપને જણાવી દઈએ કે વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીના ચેરમેન રહેતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો. વર્ષ 2005થી 2016 દરમિયાન વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે કાર્યરત હતા.
આ દરમિયાન તેમણે સત્તાનો દુરુપયોગ કરીને ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બલ્ક મિલ્ક કુલરની ખરીદી કરી, ગેરકાયદે રીતે એડવોકેટનો ખર્ચ ઉધારી, સંસ્થા દ્વારા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર કરોડોના બાંધકામ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી તેમજ પ્રોવાઈડીંગ એન્ડ સપ્લાય એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ હોલ્ડિંગ બોર્ડ બનાવવા માટે ઊંચા ભાવવાળી કંપનીને કોન્ટ્રાક્ટ આપી તેનો ફાયદો કરાવ્યો છે. આ ઉપરાંત સાગરદાણ ભરવાના બોરા ખરીદીમાં બજાર કિંમતથી ઊંચા ભાવે વધુ ચૂકવી બારદાનની ખરીદી કરીને સંસ્થાને આર્થિક નુકસાન કર્યો હોવાનો પણ આરોપ છે.