Rajkot: બેડી માર્કેટિંગ યાર્ડમાં આજથી હરાજી શરૂ, મગફળી, કપાસ, તલ, લસણ સહિતની જણસીની થઈ હરાજી
રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા હવે જનજીવન ધબકતુ થયુ છે. એક મહિન બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ આજથી ખુલ્યા છે.
લાંબા સમયના વિરામ બાદ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજથી હરાજી શરૂ થઇ ગઇ છે. મગફળી, કપાસ, તલ, લસણ સહિતની જણસીની હરાજી શરૂ થતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. હરાજીમાં બોલાતા ભાવ પર નજર કરીએ તો, મગફળીનો ભાવ 1100 રૂપિયાથી 1370 સુધીનો બોલાઇ રહ્યો છે, તો તલનો ભાવ 1500થી 2300 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે.
કપાસનો ભાવ 1200થી 1400 રૂપિયા, મગનો ભાવ 1200થી 1320 રૂપિયા સુધી, એરંડાનો ભાવ 940થી 980 રૂપિયા સુધી ખેડૂતોને મળતા યાર્ડમાં જણસીની બમ્પર આવક થઇ છે. નવા પાકનું વાવેતર કરવાનું હોવાથી હાલ ખેડૂતોને રૂપિયાની જરૂરિયાત છે, ત્યારે આ હરાજીથી રાજકોટ પંથકના ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા હવે જનજીવન ધબકતુ થયુ છે. એક મહિન બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ આજથી ખુલ્યા છે. કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરી હરાજી શરૂ કરાઈ છે. યાર્ડમાં જણસીની આવક અને હરાજીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના જેતપુરનું માર્કેટ યાર્ડ આજથી શરૂ થયુ છે. મર્યાદીત સંખ્યાના ખેડૂતો અને મર્યાદીત વેપારીઓ સાથે યાર્ડ ખુલ્યું છે. યાર્ડમાં ઘઉં, મગફળી, ધાણા, તલ અને મગના વેચાણ માટે ખેડૂતોને બોલાવાયા હતા. જેથી ખેડૂતો અને વેપારીઓમાં આનંદ વ્યાપી ગયો છે.