પંચમહાલ: અંધશ્રદ્ધાની આડમાં મહિલાનું શારીરિક શોષણ કરનાર ભૂવો ઝડપાયો
પોલીસે સંતાન પ્રાપ્તિની વિધિના બહાને મહિલા સાથે શારીરિક અડપલાં કરનાર ઢોંગી ભૂવાને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા તાલુકાના એક ગામના શિક્ષિત દંપતીને ઘણા વર્ષોથી સંતાન સુખ પ્રાપ્ત નહોતું થતું.
આધુનિક સમયમાં શિક્ષિત લોકો જ અંધશ્રદ્ધાનો શિકાર બનવાની ઘટનાઓ વધી છે. અંધશ્રદ્ધાના શિકારની વધુ એક ઘટના સામે આવી છે પંચમહાલના ઘોઘંબા તાલુકામાં. જ્યાં પોલીસે સંતાન પ્રાપ્તિની વિધિના બહાને મહિલા સાથે શારીરિક અડપલાં કરનાર ઢોંગી ભૂવાને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા તાલુકાના એક ગામના શિક્ષિત દંપતીને ઘણા વર્ષોથી સંતાન સુખ પ્રાપ્ત નહોતું થતું. આ દરમિયાન તેઓ શના રાઠવા નામના ભૂવા સંપર્કમાં આવ્યા. ભૂવાએ તેમને સંતાન સુખની પ્રાપ્તિ માટે વિધિ કરવાનું કહ્યું હતું. અને વિધિના બહાને આ ઢોંગી ભૂવો મહિલાને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે મહિલા સાથે શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. જોકે આ સમય દરમિયાન જ મહિલાનો પતિ અને સસરા આવી જતાં ભૂવાની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. પરિવારજનોએ ઢોંગી ભૂવા સામે ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે.
નોંધનીય છેકે આજના આધુનિક યુગમાં પણ કેટલાક લોકો પોતાની સમસ્યાના સમાધાન માટે તાંત્રિક વિધીઓ માટે ભૂવાઓનો સહારો લેતા હોય છે. ત્યારે કયારેક આવા ભૂવાઓ સમસ્યાના સમાધાનના રૂપે આડખીલીરૂપ બની જતા હોય છે. અને, આવા કેસમાં કેટલાક ગંભીર બનાવો પણ બની જતા હોય છે. ત્યારે આવા જ કિસ્સાનો પંચમહાલમાં પર્દાફાશ થયો છે. જોકે, પોલીસે આ ભૂવાને હાલ તો જેલના સળિયા ગણતા કરી દીધો છે.
આ પણ વાંચો : રાજ્યના સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવા મુખ્યમંત્રીનો જનહિત અભિગમ