મહેસાણા: બહુચરાજીના ધનપુરામાં વરઘોડો કાઢવા બાબતે થઈ બબાલ, 10 હથિયારધારી શખ્સોએ કરી મારામારી- વીડિયો
એકતરફ વડાપ્રધાન મોદી જ્યારે વસુધૈન કુટુમ્બકમની ભાવના સાથે આગળ આવવાની વાત કરી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજીના ધનપુરા ગામે શરમજનક ઘટના સામે આવી છે. અહીં પછાત સમાજના લોકો સાથે વરઘોડો કાઢવા બાબતે માથાકૂટ કરવામાં આવી અને માર મારવામાં આવ્યો.
મહેસાણાના બહુચરાજીના ધનપુરામાં માનવતાને કલંકીત કરતી ઘટના સામે આવે છે..એક તરફ માનવી વિશ્વ એક ગામડું છે તેવી કલ્પના કરે છે અને બીજી તરફ આજે પણ જાતિવાદ અને તેના કારણે થતા ભેદભાવની ઘટનાઓ ઘટે છે..ધનપુરા ગામમાં 28 જાન્યુઆરીએ દલિત સમાજના લગ્નપ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે બબાલ થઈ..આરોપ છે કે ગામના જ 10 જેટલા શખ્સોએ હથિયાર સાથે આવીને મારામારી કરી. અપશબ્દો કહ્યા અને લગ્ન પ્રસંગમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસે દરમિયાનગીરી કરતા આખરે ગામમાં શાંતિ સાથે વરઘોડો નીકળ્યો હતો.
બહુચરાજી પોલીસ મથકમાં 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે..પોલીસે પરિવારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે..હાલ ધનપુરા ગામમાં શાંતિનો માહોલ છે.
