Navsari: પૂરના પાણી ઓસર્યા બાદ સફાઇના અભાવે રોગચાળો ફેલાવાની સ્થાનિકોને દહેશત, પાલિકાના શાસકોના સબ સલામતના દાવા
નવસારીમાં (Navsari) મેઘરાજાએ જ્યારે વિરામ લીધો છે ત્યારે જેટલા પણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે તમામ વિસ્તારોમાં બિસ્માર રસ્તા, કાદવ-કીચડ,ગંદકી જેવી સમસ્યાઓ ઉભી થઇ છે.
નવસારી (Navsari) શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવિરતપણે વરસેલા વરસાદને (Rain) પગલે ઠેર ઠેર પૂરની (Flood) પરિસ્થિતિ જોવા મળી હતી. હાલમાં મેઘરાજાએ જ્યારે વિરામ લીધો છે ત્યારે જેટલા પણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે તમામ વિસ્તારોમાં બિસ્માર રસ્તા, કાદવ-કીચડ,ગંદકી જેવી સમસ્યાઓ ઉભી થઇ છે. જે અંગે તંત્ર દ્વારા કોઇ કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવસારી-વિજલપોર પાલિકા હસ્તક જેટલા વિસ્તારો છે તેમાં પીવાના પાણીની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે. તેમજ રસ્તા પર સફાઇને અભાવે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પેદા થઇ છે.
પાલિકાના શાસકોનો સબ સલામતનો દાવો
બીજી તરફ પાલિકાના શાસકોએ દાવો કર્યો છે કે નવસારીના 15 વિસ્તારોમા પૂર્ણા નદીના પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ અને નવસારી પાલિકાની ટીમ સતર્ક બની છે. સુરત મહાનગરપાલિકાના સહયોગથી આરોગ્ય વિભાગની 213 મેડિકલ ટીમ ડોર ટુ ડોર સર્વે કરી રહી છે. તો બીમાર લોકોને ઝડપથી સારવાર મળે તે માટે 111 મેડિકલ કેમ્પ કાર્યરત કરાયા છે. પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કરાયું છે.. આરોગ્ય તંત્રએ દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.
નવસારી વિજલપોર પાલિકાના સીઓ જે.યુ. વસાવાએ વિવિધ ટીમ બોલાવી કામગીરી ચાલુ હોવાનું જણાવી સબ સલામતના સતત દાવાઓ કર્યા હતા અને આજુબાજુની પાલિકાના કર્મચારીઓને બોલાવી વોર્ડ મુજબ સાફ-સફાઇ કરાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.