Junagadh: મુખ્યમંત્રીના આગમન સમયે રોડ પર મરાયેલા થીગડાં ચાર જ દિવસમાં પોપડા સ્વરૂપે આવ્યા બહાર- જુઓ Video
Junagadh: જુનાગઢમાં ચાર દિવસ પહેલા જ સમારકામ કરાયેલા રોડ પરથી કપચી ઉખડવા લાગી છે. ઉપરકોટના લોકાર્પણ માટે સીએમના આગમન પહેલા ભવનાથથી મધુરમ ગેટ અને ભાજપના કાર્યાલય સુધીના રસ્તાનું સમારકામ કરવામાં આવ્યુ હતુ, જો કે સમારકામ કર્યાના ચાર થી પાંચ દિવસમાં જ રોડ પરથી કપચી ઉખડી ગઈ છે અને પોપડા ઉખડવા લાગ્યા છે.
Junagadh: જુનાગઢમાં ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રસ્તાના સમારકામમાં પણ ખરાબ ગુણવત્તાના આરોપ લાગ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ ઉપરકોટના લોકાર્પણ માટે આવ્યા હતા. ત્યારે મોતીબાગથી ભવનાથ અને મધુરમ ગેટથી ભાજપ કાર્યાલયના રોડ પર ખાડા પૂરવામાં આવ્યા. પરંતુ ચાર-પાંચ દિવસમાં જ સમારકામ સ્થળેથી કપચીઓ ઉખડી ગઈ છે. આ કપચીને પગલે બાઈક સ્લિપ થઈ જવાના બનાવ બન્યા છે. કપચી અને ધૂળ ઉડતા લોકો પરેશાન થઈ રહ્યા છે. જુનાગઢની પ્રજાની હાલાકી મુદ્દે મેયરે કહ્યું કે દિવાળી પહેલા તમામ તૂટેલા રસ્તા યોગ્ય થઈ જશે. જૂનાગઢના મેયર ગીતા પરમારે કહ્યું એક-બે સ્થળે તો રોડનું સમારકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ચાર દિવસમાં જ રોડના સમારકામની ખુલી પોલ, ઉખડ્યા પોપડા
એક સ્થાનિકે ત્યાં સુધી આરોપ લગાવ્યો છે કે ઉપરકોટનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીના જવાની સાથે જ જે રોડનું સમારકામ કરાયુ ત્યાં કાંકરીઓ ખરવા લાગી અને ઘણી ખરી જગ્યાએ રોડ પર ખાડા પુરવા માટે જે પેચવર્ક કરાયુ હતુ. તે પોપડા સ્વરૂપે બહાર આવ્યુ છે. જેના પરથી સમજી શકાય છે કે કેટલી હદ્દે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી રોડને થીગડા મારવાનો પ્રયાસ કરાયો હતો. હાલ રોડ ફરી બિસ્માર બન્યા છે, જેના કારણે નાના વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. રોડ પરથી કપચીઓ ઉખડવા લાગતા જો ધ્યાન ન રાખે તો ટુવ્હીલર સ્લીપ થવાની પણ શક્યતા રહેલી છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા આ રોડનું યોગ્ય રીતે સમારકામ થાય તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Junagadh Video: જુનાગઢના માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો Video વાયરલ
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
