Gujarati Video: સુરતના જહાંગીરપુરામાં હરિદ્વારની ટુર પર લઈ જવાના નામે મહિલાઓ સાથે છેતરપિંડી, ટુરના 3 દિવસ પહેલા જ ટુર સંચાલક થયો ફરાર
Surat: શહેરના જહાંગીરપુરામાં હરિદ્વારની ટુર કરાવવાના બહાને 500 જેટલી સિનિયર સિટીઝન મહિલાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. હરિદ્વારની ટુરના બહાને સિનિયર સિટિઝન મહિલાઓ પાસેથી એડવાન્સમાં પૈસા લઈ ટુર ઉપડવાના ત્રણ દિવસ પહેલા જ ટુર સંચાલક ફરાર થઈ ગયો છે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હરિદ્વારની ટુરના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરાઇ છે. ઘટનાની વાત કરીએ તો હરિદ્વારની ટુરના નામે સિનિયર સિટીઝન મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાઇ લેવાયા. બાદમાં ટુર ઉપડવાના 3 દિવસ પહેલા જ ટુર સંચાલક મોબાઇલ બંધ કરી ફરાર થઇ ગયો છે. આશરે 500 જેટલી મહિલાઓ સાથે છેતરપિંડી થઇ હોવાની માહિતી મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
પોલીસે મહિલાઓની ફરિયાદ લઈ ટુર સંચાલકને શોધવા માટેની તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર મહિલાઓ પાસેથી ટુર સંચાલકે આધાર કાર્ડ સહિતના તમામ આઈડી પ્રુફ અને બે-બે હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા અને 31મી જાન્યુઆરીએ ટુર ઉપડવાની હોવાનુ જણાવ્યુ હતુ. જો કે મહિલાઓએ એ પહેલા ટુર સંચાલકનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ બંધ આવતો હોવાથી મહિલાઓને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. સમગ્ર મામલે મહિલાઓએ સુરત સીપીને રજૂઆત કરી છે.
કેવી રીતે છેતરપિંડીનો ભોગ બની મહિલાઓ?
ભોગ બનનાર મહિલાના જણાવ્યા મુજબ મહિલાઓને મોબાઈલ પર હરિદ્વાર, ગોકુલ, મથુરાની ટુર માત્ર 2 હજારમાં એવો મેસેજ આવ્યો હતો. આ મેસેજને આધારે મહિલાઓએ ટુર સંચાલકનો સંપર્ક કર્યો હતો.
આ તરફ અમદાવાદમાં કર્મા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા લોકોને લોભામણી સ્કીમો આપીને છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સાથે જ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ છેતરાયેલા 500થી વધુ લોકોનું લીસ્ટ સરકારમાં મોકલી ન્યાયની માગ કરી છે.