GUJARAT : આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે વરસાદી માહોલ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 8:31 PM

GUJARAT : રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘરાજાની મહેર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે. અમદાવાદમાં હજી ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. પરંતુ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

લો પ્રેશર એરિયા કચ્છના દરિયાકાંઠે હોઈ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં જૂલાઈ મહિનાની સરેરાશ કરતા હજુ 36 ટકા વરસાદ ઓછો પડ્યો છે. દરિયાકાંઠે કોઈ નવી સિસ્ટમ ન હોવાથી ત્રણ દિવસ બાદ મેઘરાજા વિરામ લેશે.

અમરેલી, પોરબંદર, દ્વારકા પંથકમાં વરસાદી માહોલ

અમરેલી જિલ્લાના ખાંભાના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં નાના બારમણ, મોટા બારમણ તેમજ ચોત્રા ગામમાં વરસાદ નોંધાયો છે.

તો પોરબંદરમાં બીજા દિવસે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. અહીં સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ બપોરે ધીમીધારે વરસાદ નોંધાયો છે. ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોના મગફળીના પાકોને જીવતદાન મળ્યું છે. પોરબંદર શહેરમાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના બારાળી, બેરાજા ગામે ધોધમાર વરસાદ નોંધાયો છે. આ બંને ગામને જોડતો કોઝવે પર વરસાદી પાણી ભરાયા હતા. વેદમતી નદીનાં પાણી કોઝવે પર ફરી વળ્યાં છે. કોઝવે પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે. જોકે સ્થાનિક લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઇ રહ્યા છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. જેતપુર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. અને, વરસાદને કારણે શહેરમાં ઠંડકનું વાતાવરણ થઇ ગયું છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ છે. ધોરાજી શહેર તથા ગ્રામ્યવિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે. જેમાં મોટી મારડ, તોરણીયા, જમના વડ અને ભુખી પરબડીમાં વરસાદ નોંધાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">