રાજ્ય સરકારે જજના નિવાસ સ્થાને મોકલ્યું હતું ફાયર સેફ્ટીનું સોગંદનામું, હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીના મુદ્દે થયેલી અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી.
સોગંદનામા મુદ્દે રાજ્ય સરકારના સગવડિયા વલણ સામે હાઇકોર્ટની (Gujarat High Court) કડકાઇ જોવા મળી. રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની (Fire Safety act) અમલવારીના મુદ્દે થયેલી અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી. વાસ્તવમાં રાજ્ય સરકાર તરફથી જજીસના નિવાસસ્થાને સોગંદનામા મોકલાયા હતા. જે બાબતને હાઇકોર્ટે વખોડી કાઢી હતી અને ટકોર પણ કરી હતી.
આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે આ રીતે જજીસના ઘરે સોગંદનામાં મોકલવાની પ્રેક્ટિસ ચલાવી લેવાશે નહિ. તેમજ સરકારે એમ પણ ટકોર કરી કે સરકાર જે પણ સોગંદનામું કરવા ઇચ્છતી હોય એ હાઇકોર્ટની રજીસ્ટ્રીમાં ફાઇલ કરે. ટકોર બાદ હાઇકોર્ટની ખંડપીઠના બન્ને જજીસે સોગંદનામાવાળું સીલ કવર એડવોકેટ જનરલને પરત કર્યું હતું. હવે આગામી સુનાવણી 13 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. જણાવી દઈએ કે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલ એફિડેવિટને કોર્ટે હાલ સ્વીકાર્યું નથી.
જો કે જોઈન્ટ સેક્રેટરી આર.એચ. વસાવાએ કરેલા સોગંદનામાંમાં ઘણી માહિતી બહાર આવી છે. જેમાં ચોંકાવનારી બાબત એ છે કે સર્વેમાં રાજ્યમાં જેટલી હોસ્પિટલો છે તેમાંથી 48 % જેટલી હોસ્પિટલો પાસે BU પરમિશન નહીં હોવાની માહિતી બહાર આવી છે.
આ પણ વાંચો: લો બોલો! બિલ્ડીંગ યુઝની પરમિશન વગર રાજ્યની 48 % હોસ્પિટલોનો ધમધમી રહ્યો છે ધંધો, સર્વેના આંકડા ચોંકાવનારા