પેપર લીક કરનારની હવે ખેર નથી ! સરકાર આગામી બજેટ સત્રમાં પેપર લીક મામલે વિધેયક લાવી કાયદો બનાવાની તૈયારીમાં
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આગામી બજેટ સત્રમાં પેપર લીક મામલે વિધેયક લાવી કાયદો બનાવાની તૈયારી ચાલી રહી છે.
ગુજરાતમાં પરીક્ષાના પેપર લીક કરનારની હવે ખેર નથી. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આગામી બજેટ સત્રમાં પેપર લીક મામલે વિધેયક લાવી કડક કાયદો બનાવાની તૈયારી ચાલી રહી છે. ભરતી પરીક્ષાનું પેપર વેંચનારને 7 વર્ષની સજા અને પેપર ખરીદનારને 3 વર્ષની સજાની જોગવાઇ કરાશે. આ સાથે પેપર લીક બિન જામીનપાત્ર ગુનો બનશે. પેપર ખરીદનાર પર કાયમી ભરતી પ્રતિબંધ મુકાશે અને ભરતી પરીક્ષાના મોનિટરિંગ માટે IAS-IPS પણ નિમાશે.
ભરતી પરીક્ષાના મોનિટરિંગ માટે IAS-IPS પણ નિમાશે
તો આ તરફ પેપર લીક કેસમાં તપાસ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થયા છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત સામે આવી છે કે પ્રદીપ નાયક અને જીત નાયકે જ આર્થિક ફાયદા માટે પેપર ફોડવાનું કાવતરું રચ્યું હતું. 20 દિવસ અગાઉ આરોપીઓએ કાવતરું ઘડ્યું હતું. જેમાં 5 લાખમાં ખરીદાયેલું પેપર 12 લાખ સુધીમાં વેચવાનો કારસો હતો. જીત નાયકે હૈદરાબાદના કે.એલ. હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોર્યું હતું. અને 20 દિવસ પહેલા પ્રદીપને 7 લાખમાં પેપર વેચ્યુ હતુ.બીજી તરફ 16 આરોપીઓની ધરપકડ બાદ અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.