ગુજરાત ચૂંટણી 2022: અમદાવાદ જામા મસ્જિદના શાહી ઈમામનું વિવાદી નિવેદન, “મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપનારા ઈસ્લામ ધર્મને નબળો પાડી રહ્યા છે”
Gujarat Election 2022: અમદાવાદમાં જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહમદ સિદ્દીકીએ મહિલાઓના ચૂંટણી લડવા બાબતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યુ કે જેમને મસ્જિદ અને મઝારમાં જવાની પરવાનગી નથી તે વિધાનસભામાં કેવી રીતે જઈ શકે.
અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ બીજા તબક્કાના મતદાન પહેલા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. ઈમામે ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપનાર રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યુ છે કે મહિલાને ટિકિટ આપનાર પક્ષો ઈસ્લામને નબળો પાડી રહ્યા છે. TV9 સાથેની વાતચીતમાં ઈમામે જણાવ્યુ કે મુસ્લિમ મહિલાઓએ રાજકારણમાં આવવુ જોઈએ નહીં. ઈમામે વધુમાં જણાવ્યુ હતુ કે મસ્જિદમાં એકપણ મહિલા નમાઝ નથી પઢતી. ઈસ્લામમાં સૌથી વધુ મહત્વ નમાઝનું છે. જો મુસ્લિમ મહિલાઓ આ રીતે લોકોની સામે આવવા લાગશે તો તેને મસ્જિદમાં આવતા પણ નહીં રોકી શકાય. ઈસ્લામમાં મહિલાઓ માટે એક સ્થાન નક્કી છે, આથી જ તેમને મસ્જિદમાં પ્રવેશ નથી.
મહિલાઓને ટિકિટ ન આપવા માટે શાહી ઈમામે આપ્યો આ તર્ક
મસ્જિદના ઈમામે જણાવ્યુ કે જેમને મઝાર પર જવાની અને મસ્જિદમાં જવાની પરવાનગી નથી તે એસેમ્બલીમાં કેવી રીતે જઈ શકે. વધુમાં તેમણે જણાવ્યુ કે મુસ્લિમ મહિલાઓને ચૂંટણીમાં ટિકિટ આપવી તે ઈસ્લામની વિરુદ્ધ છે. મહિલાને ટિકિટ આપનારા ઈસ્લામને નબળો પાડી રહ્યા છે. શું કોઈ પુરુષ નથી બચ્યો કે મહિલાઓને ટિકિટ આપવી પડે? વધુમાં ઈમામે જણાવ્યુ કે જે કોઈપણ મહિલાઓને ટિકિટ આપે છે તે ઈસ્લામ ધર્મ વિરુદ્ધ બગાવત કરે છે. આ સાથે તેમણે કર્ણાટકના હિજાબ વિવાદને પણ જોડ્યો. તેમણે કહ્યું કે આજે તમે તેને MLA કે કાઉન્સિલર બનાવશો તો હિજાબને સલામત નહીં રાખી શકાય. પછી હિજાબ વિવાાદને સરકાર સામે પણ નહીં ઉઠાવી શકાય.