Gujarat Election: TV9ના સત્તા સંમેલનના મંચ પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ- ગુજરાતમાં પુરી તાકાત સાથે લડશું
Gujarat Election: TV9ના સત્તા સંમેલનમાં અસદુદ્દીન ઓવૈસીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુરી તાકાત સાથે લડવાની હામી ભરી છે. તેમણે કહ્યુ જમાલપુર ખાડિયા, દાણીલીમડા, જુહાપુરા સહિતની બેઠકો પર પુરી તાકાત સાથે લડશું.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ના પડઘમ વાગી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) સહિત અન્ય પાર્ટીઓ પણ સક્રિય જોવા મળી રહી છે. જેમા અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી પણ ગુજરાતમાં આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવવાની છે. TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં શું અપેક્ષા રાખી રહ્યા છે તેના જવાબમાં ઓવૈસીએ જણાવ્યુ કે તેઓ ગુજરાતમાં જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલા, સુરત પૂર્વથી વાસિમ કુરેશી, દાણીલીમડાથી કોશિકા પરમાર સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવશે. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે અમારો સંપૂર્ણ પ્રયાસ એવો રહેશે કે જનતાનું દિલ જીતી શકે અને પાર્ટીને સફળ બનાવવા કામ કરવાનુ છે.
“અસદુ્દ્દીન ઓવૈસી ચર્ચામાં રહેવા માગે છે પણ સત્તામાં નહીં”
અસદુ્દ્દીન ઓવૈસી ચર્ચાઓમાં રહેવા માગે છે પણ સત્તામાં નહીં તેના જવાબમાં ઓવૈસીએ જણાવ્યુ કે, ગુજરાતમાં 25થી વધુ વર્ષોથી ભાજપની સરકાર સત્તામાં છે છતા ગુજરાતમાં લઘુમતી સમાજ અને આદિવાસીઓમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ શા માટે છે ? માત્ર 26 ટકા મુસ્લિમ બાળકો જ મેટ્રિક સુધી ભણે છે. જ્યારે હાયર એજ્યુકેશન સુધી પહોંચતા આ રેશિયો 2.8 થઈ જાય છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે જુહાપુરા વિધાનસભા ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતનો કચરો અને ગુજરાતભરનો મેડિકલ વેસ્ટ ઠલવવામાં આવે છે. ભાજપ એવુ કહે છે કે ગુજરાતમાં કોઈ દંગા નથી તો ડિસ્ટર્બ એરિયાઝ એક્ટને શા માટે રદ્દ કરવામાં નથી આવતો. આ તમામ મુદ્દાઓ સાથે તેઓ જનતા સમક્ષ જશે તેમ ઓવૈસીએ જણાવ્યુ હતું.