Gujarat Election 2022: રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પહેલા કોંગ્રેસના ઝંડા દૂર કરાતા રાજકારણ ગરમાયું, કાર્યકરોએ ચૂંટણી અધિકારીને કરી રજૂઆત
રાહુલ ગાંધીના (Rahul Gandhi) આગમન પહેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારમાં કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારમાં કોંગ્રેસના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગઇકાલે 20 નવેમ્બરે સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ઝંડા શહેરમાંથી હટાવી લેવામાં આવ્યા છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજ ગુજરાત મુલાકાતે આવવાના છે. તેઓ રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે સભા સંબોધવાના છે. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારમાં કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારમાં કોંગ્રેસના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગઇકાલે 20 નવેમ્બરે સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ઝંડા શહેરમાંથી હટાવી લેવામાં આવ્યા છે. જેને લઇને કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઇને કોંગ્રેસના નેતાઓએ મહાનગરપાલિકા અને ચૂંટણી કમિશનને આ અંગેની ફરિયાદ કરી છે.
ગુજરાત ચૂંટણી 2022: ઝંડા હટાવતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ ભાજપ અથવા તો અન્ય કોઇ પાર્ટીની સભા હોય છે. ત્યારે તે પક્ષના ઝંડા રાખવામાં આવતા હોય છે. પણ કોંગ્રેસ પર કિન્નાખોરી રાખીને આ ઝંડા દુર કરવામાં આવતા હોય છે. આ વખતે પણ રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રસ દ્વારા લગાવાયેલા ઝંડા દુર કરવામાં આવ્યા છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાત ચૂંટણી 2022: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીની જાહેર સભા
રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કરવાના છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમની જાહેર સભા છે. બંને સભાનું 182 બેઠકો પર વર્ચ્યુઅલ પ્રસારણ કરાશે. દક્ષિણ ગુજરાતમાં મહુવાના અનાવલ ગામે તેઓ જાહેર સભા સંબોધશે. તેમની સભાનું સ્થળ એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જેનાથી દક્ષિણનો આદિવાસી પટ્ટો કવર થઈ શકે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પરની 16 બેઠકોને આવરી લેતી આ સભા મહત્વની માનવામાં આવી રહી છે. આ 16 બેઠકોમાં માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપુર, નવસારી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામનો સમાવેશ થાય છે. આ સભાની અસર નવસારી, તાપી, વલસાડ, સુરત જિલ્લાની આદિવાસી બેઠકો પર થાય તે પ્રકારનું આયોજન કરાયું છે.
(વિથ ઇનપુટ-મોહિત ભટ્ટ, રાજકોટ)