Gandhinagar: કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, પરિવારે ડોક્ટરની બેદરકારીનો લગાવ્યો આક્ષેપ
મહિલાના મોત બાદ સ્થિતિ ગંભીર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. હાલ તો દહેગામ પોલીસે (Police) અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મહિલાના મૃતદેહને ગાંધીનગર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં આવેલા દહેગામમાં (Dehgam) સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલાનું મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગત રોજ સવારે 29 વર્ષીય સંગીતાબેન અમિતકુમાર ઝાલાને કુટુંબ નિયોજનના ઓપરેશન (Family planning Operation) માટે દાખલ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન જ મહિલાનું મોત થયું હતું. ત્યારબાદ મહિલાના પરિવારે ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ લગાડ્યો હતો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી.
એક સમયે તંગદિલીનો માહોલ સર્જાતા દહેગામ પોલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ દોડી ગઈ હતી. મહિલાને ઓપરેશન અર્થે દાખલ કરવામાં આવી હતી, બાદમાં તબીબોએ મહિલાની તબિયત લથડી હોવાનું જણાવી મહિલાની મોતના સમાચાર આપ્યા હતા. સમગ્ર મામલે પરિવારજનોએ તબીબોની બેદરકારીનો આરોપ લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાના મોત બાદ સ્થિતિ ગંભીર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. હાલ તો દહેગામ પોલીસે (Police) અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મહિલાના મૃતદેહને ગાંધીનગર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.