Gandhinagar: વિવિધ પડતર માગોને લઈને શિક્ષકો ફરી આંદોલનના માર્ગે, સરકાર માગ ન સ્વીકારે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી
Gandhinagar: રાજ્યમાં આંદોલનો શાંત કરવા માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે. જેમા વાટાઘાટો દ્વારા જ્યાં એક આંદોલન શાંત કરી રહે ત્યાં અન્ય કર્મચારી મંડળ માથુ ઉંચકી રહ્યુ છે જેમા હવે શિક્ષકોએ પણ ઝંપલાવ્યુ છે.
પોતાની વિવિધ પડતર માગને લઇ ફરી શિક્ષકો (Teachers)એ સરકાર સામે બાયો ચઢાવી છે. વિવિધ માગોને લઈને શિક્ષકો હવે લડી લેવાના મૂડમાં છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના બેનર હેઠળ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. આ શિક્ષકોની માગ છે કે નવી પેન્શન યોજનાને બદલી જૂની પેન્શન યોજના (Old Pension Scheme) પુન:લાગુ કરવામાં આવે, તેમને 42 ગ્રેડ પે (Grade-Pay), શિક્ષક બદલી કેમ્પ, સહિત સાતમાં પગાર પંચના ભથ્થા સહિતના લાભ આપવા માગ કરી છે. આ સાથે જ શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર તેમની માગ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ આંદોલન શરૂ રાખશે.
વિવિધ પડતર માગો મુદ્દે શિક્ષકોના ધરણા
શિક્ષકોએ જણાવ્યુ છે કે જ્યાં સુધી તેમના પડતર પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે મહાનગરપાલિકા-પાલિકા, સાતમાં પગાર પંચના
ભથ્થા, BLOની કામગીરી ઓનલાઈન બંધ કરવી, અન્ય કર્મચારીઓ જે સંગઠન સાથે જોડાયેલા છે તેમના પ્રશ્નોની માગણી માધ્યમિકના પ્રશ્નોના જે પરિપત્રો કરેલા છે તેને બહાર પાડવા સહિતની માગો સાથે શિક્ષકોએ ધરણા શરૂ કર્યા છે. શિક્ષકોએ જણાવ્યુ કે સમગ્ર રાજ્યના તમામ જિલ્લામાં શિક્ષકો દ્વારા ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
શિક્ષકોએ માગ કરી છે કે જ્યાં સુધી અમારી માગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારી લડત શરૂ રહેશે. આપને જણાવી દઈએ કે રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યો દ્વારા નવી પેન્શન યોજનાને રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. ત્યારે ગુજરાતના શિક્ષકો-કર્મચારીઓમાં જુની પેન્શન યોજના લાગુ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.