Gandhinagar: નેશનલ હાઇવે ઓથોરિટીના GM રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલી નેશનલ હાઇવે ઓથોરીટીની ઓફિસમાં દરોડો પાડીને જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને રૂપિયા 10 લાખની લાંચ લેવાના કેસમાં ઝડપી લેવામાં આવ્યા હતા.
ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલી નેશનલ હાઇવે ઓથોરીટીની ઓફિસમાં દરોડો પાડીને જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને રૂપિયા 10 લાખની લાંચ લેવાના કેસમાં ઝડપી લેવામાં આવ્યા હતા. સીબીઆઇએ (CBI) ગાંધીનગર સ્થિત નેશનલ હાઇવે ઓથોરીટીની ઓફિસમાં શુક્રવારે સવારે બાતમીને આધારે દરોડો પાડીને નેશનલ હાઇવે ઓથોરીટીના ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને રૂપિયા 10 લાખ લાંચ લેવાના કેસમાં ઝડપી લીધા હતા. જેમાં જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ટી. પી. સિંહ તેમન ધોલેરા-અમદાવાદ અને અન્ય કામના બીલો સહિતના ઝડપી નિકાલના બદલામાં લાંચની રકમ આપવા આવ્યા હતા. સીબીઆઇએ આ અંગે કુલ આઠ લોકો વિરૂધ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આ સાથે દિગ્વિજય મિશ્રાના નિવાસ સ્થાનેથી તપાસ દરમિયાન 20 લાખની રોકડ પણ મળી આવી હતી. જે અંગે સીબીઆઇની એસીબીની વીંગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સીબીઆઇની એસીબીની વિંગના અધિકારીઓને માહિતી મળી હતી કે નેશનલ હાઇવે ઓથોરિટીના ચિફ જનરલ મેનેજર રીજનલ ઓફિસર દિગ્વિજય મિશ્રા કેટલીક કંપનીના પ્રતિનિધીઓ સાથે મળીને હાઇવેની કામગીરીને લગતા બિલો, ટેન્ડર, ક્લિયરન્સ સર્ટીફિકેટ આપવાના બદલામાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર કરે છે. જેમાં તે તેમની ગાંધીનગર સેક્ટર-11 ખાતે આવેલી ઓફિસ તેમજ કુડાસણ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને નિયમિત બેઠકો યોજે છે. જેમાં તેઓ મુંબઇના અંધેરી ખાતે આવેલી જીએચવી પ્રાઇવેટ લીમીટેડ કંપનીને મળેલા કોન્ટ્રાક્ટની કામગીરીના બદલામાં નાણાંકીય દેવડ કરવાના હતા.
CBIની અન્ય અધિકારીઓ માટે પણ લાલ આંખ
તો બીજી તરફ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી કે. રાજેશની(K. Rajesh) ભ્રષ્ટ્રાચારના કેસમાં સીબીઆઇએ(CBI) ધરપકડ કર્યા બાદ ગત રોજ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં સીબીઆઈએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઇએ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમની કસ્ટડીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જો કે અદાલતે કે. રાજેશના સોમવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત સીબીઆઇના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે કે.રાજેશ અને તેમના પરિવારના દેશની વિવિધ બેંકમાં ખાતા છે. જ્યારે કે. રાજેશે અદાલતમાં બચાવમાં રજૂઆત કરી હતી.