CORONA : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું જરૂર પડ્યે રાજ્યમાં વધુ કડક SOP લાવીશું
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ ઉપલબ્ધ છે.
AHMEDABAD : રાજ્યમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સરકાર સતત ચિંતિત હોવાનુ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. સાથે વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન જે શિક્ષણ લેવું હોય તે લઈ શકશે તે બાબતે પણ શિક્ષણપ્રધાને સ્પષ્ટતા કરી હતી.તેમજ રાજ્યની શાળાઓમાં કોરોનાના કેસો નોંધાવાના મુદ્દે વાઘાણીએ કહ્યું હતું કે, શાળામાં કોરોનાની SOP લાગુ છે અને તેમાં જરૂર પડશે તો વધુ કડકાઈથી નિયમોની અમલવારી કરવા અંગે નવો પરિપત્ર જાહેર થશે અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવશે.અમદાવાદના સાયન્સ સીટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણપ્રધાને આ પ્રતિક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સુરત ઉપરાંત અમદાવાદની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવા લાગ્યા છે.
ગઈકાલે અમદાવાદમાં છારોડીની નિરમા વિદ્યાવિહાર અને ઉદગમ સ્કૂલના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ધોરણ 5, 9 અને 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવઆવ્યાં હતા. ધોરણ 9 અને 11ના બંને વિદ્યાર્થીઓ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. તો ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
તો અમદાવાદમાં ખાનગી સ્કૂલ કોરોનાની માહિતી છુપાવતી હોવાના સમાચાર પણ વહેતા થયા છે. શિલજ અને બોડકદેવની બે સ્કૂલોમાં કોરોનાના કેસ આવ્યાં પણ શાળાએ તેની માહિતી DEOને ન આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ મામલે સરકાર કડક SOP બનાવે તે જરૂરી બની ગયું છે.
આ પણ વાંચો :OMICRON : ગુજરાતના 8 જિલ્લામાં ઓમિક્રોનના કેસ નોંધાયા, અત્યાર સુધીમાં કુલ 13 કેસ થયા