Junagadh: વંથલીના ધંધુસર ગામમાં સ્વયંભૂ જાગૃતિ, બીજી લહેર પહેલા જ બનાવ્યું કોવિડ સેન્ટર
ગામમાં જ એક 20 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું, જેમાં ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિતની વ્યવસ્થા છે.
જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં 7 હજારની વસતીમાં એક મહિનામાં 300 લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 3 લોકોના મૃત્યુ થયા છે. ધંધુસર ગામના સરપંચ અને યુવાનોની ટીમે ગામની દુકાનો સવારે જ ખોલવાનો નિર્ણય કર્યો. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા સમજાવ્યા. આ ઉપરાંત ગામમાં જ એક 20 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું, જેમાં ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિતની વ્યવસ્થા છે.
કોરોનાના વધુ લક્ષણો વાળા દર્દીને તબીબોની સલાહ અનુસાર વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવે છે. ધંધુસર ગામના સરપંચ અને યુવાનોની સતર્કતાથી વહેલી સારવાર મળતા મૃત્યુઆંક ઘટ્યો છે. ગામના યુવાનો જ દર્દીઓને ભોજન, નાળિયેર પાણી, લીંબુ શરબત, જમવાનું આપે છે. આ ઉપરાંત દવા લાવવા કે સારવારમાં પણ સહયોગ કરે છે. ધંધુસરના કોવિડ સેન્ટરમાં આસપાસના ગામના લોકોને પણ રાખીને સારવામાં આપવામાં આવી છે. કોરોનાના કપરા કાળમાં ગામલોકોની સતર્કતાથી અનેકના જીવ બચ્યા છે.