‘ભાજપ પાર્ટી AAP થી ડરી ગઈ છે’, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ભાજપને આડે હાથ લીધી
ગોપાલ ઈટાલીયાએ આરોપ લગાવ્યો કે, આણંદ જિલ્લામાં ભાજપ આમ આદમી પાર્ટીની મીટીંગ કે સભાઓ થવા દેતી નથી. ભાજપના નેતાઓ પાર્ટી પ્લોટના માલિકોને ધમકાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly election) લઈને ભાજપ હોય કે પછી કોંગ્રેસ, તમામ રાજકીય પક્ષોએ (political party) અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે આણંદની (Anand) મુલાકાતે પહોંચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ (Gopal Italia) ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ઈટાલીયાએ આરોપ લગાવ્યો કે, આણંદ જિલ્લામાં ભાજપ આમ આદમી પાર્ટીની મીટીંગ કે સભાઓ થવા દેતી નથી. ભાજપના નેતાઓ પાર્ટી પ્લોટના માલિકોને ધમકાવી રહ્યા છે.
AAP પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા (Manoj Sorathiya) પર હુમલો થયો હોવાનુ સામે આવ્યુ છે. જેને લઈ પાર્ટીમાં ભારે રોષ વ્યાપ્યો છે. આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ હુમલો ભાજપ (BJP) દ્વારા કરવામાં આવ્યો છે. સુરતની સીમાડા ચોકડી પાસે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરાય છે, તે મુજબ આ વખતે પણ મંડપ બાંધવાનું આયોજન થઈ રહ્યું હતું. જેને જોવા માટે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પહોંચ્યા હતા. તે સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન જ કેટલાક લોકોએ મંડપ પાસે પડેલા બામ્બુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મનોજ સોરઠિયાને માથાના ભારે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટના માટે AAPના નેતાઓએ ભાજપને જવાબદાર ઠેરવી છે. AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યો તેમણે સીએમ, ગૃહ રાજ્યપ્રધાન અને ડીજીપીના રાજીનામાની માંગ કરી.