Banaskantha: માલણથી હસનપુર રોડ પર એક મહિનાથી ભરાયા પાણી, 10 ગામને જોડતો માર્ગ એક મહિનાથી બંધ
Banaskatha: બનાસકાંઠાના માલણથી હસનપુર રોડ પર છેલ્લા એક મહિનાથી વરસાદી પાણી ભરાયેલા છે પરંતુ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. 10 ગામને જોડતો માર્ગ છેલ્લા એક મહિનાથી પાણી ભરાયેલા હોવાથી લગભગ બંધ હાલતમાં છે.
બનાસકાંઠા (Banaskantha)ના માલણથી હસનપુર રોડ પર પાણી ભરાતા(Water Logging) લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ માર્ગ પર એક મહિનાથી પાણી ન ઓસરતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન થઈ રહ્યાં છે. 10 ગામને જોડતો માર્ગ લગભગ એક મહિનાથી બંધ હાલતમાં છે. આ મુદ્દે માર્ગ-મકાન વિભાગને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રને ગામલોકની સમસ્યાની જાણે કંઈ પડી જ નથી. એક મહિનાથી ગામલોકો આ રીતે પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે પરંતુ નઘરોળ તંત્રના કોઈ અધિકારી અહીં જોવા સુદ્ધા ફરક્તા નથી.
આ માત્ર આ ચોમાસાની સમસ્યા નથી. દર ચોમાસાએ અહીં આ રીતે પાણી ભરાઈ જાય છે અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે પરંતુ તંત્રએ જાણે નફ્ફટાઈની હદ વટાવી દીધી છે. ગામ લોકો રજૂઆત કરી કરીને થાક્યા પરંતુ આ પાણી ભરાવાની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ કરાતો નથી.
દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા
વરસાદ બાદ ભરાતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી અહીં પાણી ભરાય જાય છે અને વરસાદ રહ્યા બાદ થોડા દિવસોમાં પાણી ઓસરી જાય છે ત્યારે પણ કાદવ કિચડમાંથી ગામલોકોને પસાર થવુ પડે છે, પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કામગીરી કરાઈ નથી. દર ચોમાસાએ એ જ પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગામની મહિલાઓ પણ પાણી ભરેલા હોવાથી ક્યાંય આવી જઈ શકતી નથી તો વાહન વિના તો અહીંથી પસાર થવુ પણ કોઈ જોખમ ખેડવાથી ઓછુ નથી. બાળકોને શાળાએ જવામાં પણ એટલી જ હાલાકી પડે છે. જે માતા-પિતા પાસે વાહનો ન હોય તે બાળકોને ઉંચકીને શાળાએ મુકવા જાય છે, જેમા વાલીઓનો પણ સમય બગડે છે.