Banaskantha: અંબાજી કોવિડ સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા કામગીરી શરૂ, બે દિવસમાં કાર્યરત થશે પ્લાન્ટ
ત્રીજી લહેરમાં કોરોનાનો સામનો કરી શકાય તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની શરૂઆત કરી છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેર પૂર્ણતાને આરે છે, ત્યારે ત્રીજી લહેર માટે તંત્રએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્રીજી લહેરમાં કોરોનાનો સામનો કરી શકાય તે માટે અંબાજી (Ambaji) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સ્થાપવાની શરૂઆત કરી છે.
ઓક્સિજન પ્લાન્ટની તમામ મશીનરી પહોંચી ચૂકી છે અને કંપનીના માણસો દ્વારા આગામી બે દિવસમાં પ્લાન્ટ કાર્યરત કરી દેવાશે. આ પ્રકારના આગોતરા આયોજનથી ત્રીજી લહેરનો સામનો કરવામાં મોટી સફળતા મળશે.
આવી જ રીતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેરમાં ગુજરાત રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી., ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USA ની ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી હતી.
વિશ્વ ઉમિયાધામ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી. ઝડપથી લોકો આ મહામારીથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરી હતી.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી આર.પી. પટેલે જણાવ્યું હતું કે આજે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે. ઉપરાંત 20 જેટલા નિષ્ણાત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ સેવા આપશે.