આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સુરતના વકીલોએ યોજી તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં જોડાયેલા વકીલોએ વંદે માતરમના લગાવ્યા નારા
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આઝાદીના આ 75 વર્ષની ઉજવણીમાં સુરતના વકીલ મંડળ પણ જોડાયા છે. જેમાં સુરતના વકીલોએ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કર્યુ હતુ.
સુરત (Surat)માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શહેરના વકીલો (Lawyers) દ્વારા તિરંગા યાત્રા (Tiranga Yatra)નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. વકીલ આલમની આ તિરંગા યાત્રા મુખ્ય ન્યાયાલયથી શરૂ થઈ કારગીલ ચોક સુધી કાઢવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા વકીલ મંડળ (Lawyer Association)ના વકીલો પણ જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ચોમેર બસ તિરંગાના જ દૃ્શ્યો જોવા મળ્યા હતા તો સમગ્ર માર્ગ વંદે માતરમના અને ભારત માતાકી જયના નારાથી ગૂંજી ઉઠ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા લહેરાવવાનું અને તિરંગા યાત્રાનું જે આહ્વાન કર્યુ છે. જેમાં નાના મોટા તમામ લોકો જોડાઈ રહ્યા છે. આ હર ઘર ત્રિરંગા યાત્રા અંતર્ગત સુરતમાં વકીલ આલમે વિશાળ રેલી યોજી તિરંગા યાત્રા યોજી હતી. જેમાં તમામ વકીલ મંડળના સભ્યો જોડાયા છે. આ રેલીમાં ઓછામાં ઓછા 400થી 500 વકીલો જોડાયા હતા.
આ યાત્રામાં જોડાયેલા વકીલના જણાવ્યા અનુસાર આ આયોજનનો મુખ્ય હેતુ દેશ પ્રત્યેની દેશભક્તિની ભાવના વ્યક્ત કરવાનો છે. આ યાત્રાના આયોજન દ્વારા વકીલ મંડળે સંદેશ આપ્યો છે સારા કામ માટે તમામ વકીલો દેશની સાથે છે. આજે વકીલોએ તિરંગા યાત્રા યોજી પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવી છે. આ દરમિયાન દેશની રક્ષા કાજે પોતાના જીવનું સર્વોચ્ચ બલિદાન દેનારા શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
આ સાથે વકીલોએ સંદેશ પાઠવ્યો છે કે કોઈપણ ખતરાની સ્થિતિમાં વકીલો હંમેશા દેશની સાથે છે. દેશના સન્માન માટે તિરંગા યાત્રાનો ભાગ બનવાનો ઉત્સાહ દરેક વકીલના ચહેરા પર સ્પષ્ટ ઝલક્તો હતો.
ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત