અરવલ્લી ભાજપમાં ભડકો, તાલુકા મહામંત્રીએ લેખિતમાં ક્હ્યુ, જિલ્લા ભાજપ પ્રમુખ કરે છે દાદાગીરી
Aravalli : અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ભાજપના મહામંત્રીએ એવી ફરિયાદ કરી છે કે, જિલ્લાના ભાજપ પ્રમુખ દાદાગીરી કરે છે. પોતે ત્રણ વર્ષ માટે જિલ્લા ભાજપના બોસ હોવાનું કહે છે.
Aravalli : ગુજરાતના અરવલ્લી જિલ્લા ભાજપમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોચ્યો છે. ખુદ ધનસુરા તાલુકા ભાજપના મહામંત્રીએ જ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને, અરવલ્લીના જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે લેખિત ફરિયાદ કરવી પડી છે.
ગુજરાતમાં ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની વાત અવારનવાર કોઈને કોઈ સ્વરૂપે સામે આવી રહી છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી જૂથવાદ સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ભાજપના મહામંત્રીએ એવી ફરિયાદ કરી છે કે, જિલ્લાના ભાજપ પ્રમુખ દાદાગીરી કરે છે. પોતે ત્રણ વર્ષ માટે જિલ્લા ભાજપના બોસ હોવાનું કહે છે. અને થાય તે કરી લેવાની ઘમકી આપતા હોવાનુ લેખિતમાં ફરિયાદ સ્વરૂપે જણાવ્યુ છે.
ઘનસુરા તાલુકા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પટેલે ગંભીર રાજકીય આક્ષેપ કરતા કહ્યુ છે કે, અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, કોંગ્રેસના સંપર્કમાં છે. કોંગ્રેસ સાથે સંકલન કરી રહ્યાં છે. જો કે અરવલ્લી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય કરતા અન્ય પ્રકારનો સંબધ હોવાનું આ પત્રમાંથી ફલિત થાય છે.
આ ઘટના અંગે કેટલાક રાજકીય નિરીક્ષકોનુ માનવુ છે કે, ધનસુરા ભાજપના મહામંત્રીએ હિંમત દર્શાવીને ભાજપના પ્રદેશ પ્રમુખને લેખિત ફરિયાદ કરી છે. પરંતુ તેના પરીણામ બન્નેએ લાંબા ગાળે ભોગવવા પડશે. ભાજપની આ નિતીને કારણે જ કોઈ કોઈની સામે ફરિયાદ કરતુ નથી. બાકી આંતરીક જૂથવાદ ચરમસીમાએ છે. અનેકને પદ મળ્યા પછી સંગઠનમાં પોતે સર્વેસર્વા થઈ ગયાની લાગણી અનુભવીને મનફાવે તેમ વર્તે છે.