Ahmedabad: મેટ્રોસિટીનો અદભૂત નજારો, સાબરમતીના નવા પુલ પરથી પ્રથમવાર મેટ્રો ટ્રેન પસાર થઈ, જુઓ VIDEO
અમદાવાદમાં મેટ્રોસિટીનો અદભૂત નજારો શહેરીજનોને જોવા મળ્યો હતો. ગઈકાલે સાંજના સમયે જ્યારે અમદાવાદીઓ સાબરમતિ નદીના કિનારે ઝરમર વરસાદની મજા માણી રહ્યા હતા ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે સાબરમતીના નવા પુલ પરથી પ્રથમવાર મેટ્રો ટ્રેન પસાર થઈ હતી.
Ahmedabad: અમદાવાદમાં મેટ્રોસિટીનો અદભૂત નજારો શહેરીજનોને જોવા મળ્યો હતો. ગઈકાલે સાંજના સમયે જ્યારે અમદાવાદીઓ સાબરમતિ નદીના કિનારે ઝરમર વરસાદની મજા માણી રહ્યા હતા ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે સાબરમતીના નવા પુલ પરથી પ્રથમવાર મેટ્રો ટ્રેન (Ahmedabad Metro) પસાર થઈ હતી. લોકો જોતા જ રહી ગયા અને કેમેરામાં પણ આ નયનરમ્ય દ્રશ્યો કેદ કરાયા હતા. અમદાવાદીઓ માટે હવે એ દિવસો દૂર નથી કે જ્યારે તેઓ મેટ્રોમાં સવાર થઈને સાબરમતી નદી પસાર કરશે. ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ-1 શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના રુટ પર પૂરજોશમાં ટ્રાયલ રન કરાઈ રહ્યો છે.
ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ 4 સ્ટેશન તૈયાર કરાયા છે. જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે. જે બાદ સાબરમતી નદી પર થઈને એલિવેડેટ કોરિડોરમાં જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ સ્ટેશને મેટ્રો પહોંચશે. ત્યાંથી થલતેજ સુધી મેટ્રો ટ્રેન આગળ વધશે. તો બીજા રુટમાં ગ્યાસપુર ડેપોથી – APMC – જીવરાજ પાર્ક – રાજીવ નગર – શ્રેયસ – પાલડી – ગાંધીગ્રામ – ઉસ્માનપુરા – વિજય નગર અને વાડજ થઈ – રાણીપ – સાબરમતી રેલવે સ્ટેશન – AEC – સાબરમતી અને મોટેરા સુધી મુસાફરોને મેટ્રો ટ્રેનનો લાભ મળશે.