Ahmedabad: રિલિફ રોડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનની સરકાર સમક્ષ રજૂઆત, ઓનલાઈન સેલને કારણે નાના અને મધ્યમ વેપારીઓને ભારે નુકસાન
Ahmedabad: રિલિફ રોડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનની સરકાર સમક્ષ રજૂઆત છે કે ઓનલાઈન સેલને કારણે તેમના વેપાર ધંધાને ભારે નુકસાન જઈ રહ્યુ છે. હાલ દિવાળી સમયે પણ બજારોમાં જોઈએ તેવી રોનક જોવા મળતી નથી.
દિવાળી આવતાની સાથે જ ઓનલાઇન સેલની ભરમાર આવી જાય છે. ઓનલાઇન વેપાર કરતી જાયન્ટ કંપનીઓ સામે છૂટક અને નાના વેપારીઓ પાંગળા સાબિત થાય છે. ત્યારે પોતાની સમસ્યાને લઇને અમદાવાદ (Ahmedabad) ના રીલીફ રોડ ઇલેક્ટ્રોનિક (Electronics) એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ઇલેક્ટ્રોનિકસ એસોસિએશનના વેપારી સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે ઓનલાઈન સેલને કારણે નાના વેપાર ધંધાઓને માઠી અસર થઈ છે.
ઈલેક્ટ્રોનિક્સના વેપારી જણાવે છે કે તેએ છેલ્લા 5 વર્ષથી સરકારને રજૂઆત કરે છે. જ્યારથી ઓનલાઈન બિઝનેસ શરૂ થયો છે. તેની સીધી અસર નાના અને મધ્યમ વેપાર પર પડ્યો છે. વેપારીની રજૂઆત છે કે ભલે ઓનલાઈન બિઝનેસ શરૂ રાખે પરંતુ નાના વેપારીઓને નુકસાન ન જાય અને તેમની રોજી રોટી ચાલતી રહે. આવી અનેકવાર રજૂઆત કરી છે.
બિઝનેસમાં ખોટ જવાનુ કારણ MRP હોવાનુ તેમણે જણાવ્યુ છે, તેમનુ કહેવુ છે કે પહેલા MRP પર લગામ હતી. હવે એવુ રહ્યુ નથી. હવે કદાચ કોઈ 10 રૂપિયાની વસ્તુને 200 રૂપિયા MRP રાખે તો કોઈ બોલવાવાળુ નથી કારણ કે સરકારને ટેક્સ મળે છે. અન્ય એક વેપારીનુ જણાવવુ છે કે હાલ દિવાળી સમયે બજારમાં જે રોનક હોવી જોઈએ તે જોવા મળતી નથી. દિવાળી નજીક છે છતા ખાલી બેઠા હોઈએ છીએ.
ઓનલાઈન સેલમાં લોકો લોભામણી જાહેરાતો જોઈને ખેંચાય છે. પરંતુ ગ્રાહકોને ખ્યાલ નથી કે તેમા છેતરાઈ રહ્યા છે. તેમનુ કહેવુ છે કે રિટેલરને ત્યાંથી વસ્તુ લેવાથી ગ્રાહકને સારી પ્રોડક્ટ સાથે સારી વસ્તુ પણ મળે છે. ઓફલાઈન વેપાર ધંધા કરતા નાના અને મધ્યમ ઈલેક્ટ્રોનિક્સના વેપારીઓને ઓનલાઈન સેલને કારણે ભારે નુકસાનીનો સામનો કરવામાં આવી રહ્યો છે. આથી રિલિફ રોડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનની સરકાર સમક્ષ રજૂઆત છે કે ઓનલાઈન સેલ ઉપર બ્રેક મારવામાં આવે.