Vadodara: કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસની દહેશત, SSG હોસ્પિટલમાં 29 દર્દી સારવાર હેઠળ
કોરોના સંક્રમણની સારવાર લઈ સાજા થતા દર્દીઓમાં હવે મ્યુકોરમાઈકોસિસનું જોખમ વધી રહ્યું છે. ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધારે રહે છે.
કોરોના સંક્રમણની સારવાર લઈ સાજા થતા દર્દીઓમાં હવે મ્યુકોરમાઈકોસિસનું જોખમ વધી રહ્યું છે. વડોદરાની SSG હોસ્પિટલમાં 29 દર્દી સારવાર હેઠળ છે. ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને મ્યુકોરમાઈકોસિસનો ખતરો વધારે રહે છે. નાક, આંખ અને બાદમાં મગજ પર અસર કરતા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની વિવિધ વિભાગના નિષ્ણાત તબીબો સારવાર કરી રહ્યાં છે.
કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના વાઇરસના અલગ અલગ વેરિઅન્ટના ફેલાવા વચ્ચે હવે કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ એટલે કે ફંગસના કેસોએ ચિંતા વધારી છે. ત્યારે સરકારે તેનાથી બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.
કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી જરૂર જણાય તો જ સ્ટિરોઈડનો ઉપયોગ કરવો. સ્ટિરોઈડનો ઉપયોગ પણ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ કરવો. કોરોનાનો દર્દી ઓક્સિજન ઉપર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો. કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ. આ બિમારીને ઝાયગોમાઈકોસિસના નામે પણ ઓળખાય છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના બાદ થતા મ્યુકોરમાઇકોસિસ રોગનો કેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અંદાજીત મ્યુકોરમાઇકોસિસના 659 કેસ સામે આવ્યા છે. જેને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પણ અલગ વોર્ડ ઉભો કરવા અને અલગ સારવાર કરવા માટેનો પરિપત્ર હોસ્પિટલોને મોકલ્યો હોવાનું રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસ રોગનાં આંકડા પર નજર કરીએ તો, હળવદમાં 2 અને જામનગર 1 દર્દીએ આંખની રોશની ગુમાવી છે. જ્યારે અમરેલી માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનનું મ્યુકરમાઇકોસિસ રોગ થતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે રાજકોટ સિવિલમાં 77 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 31 દર્દી રાજકોટ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.