કોરોના મૃત્યુસહાય : રાજકોટમાં 144 મૃતકોના પરિવારજનોને 50 હજાર રૂપિયા ચૂકવાયા
ગઈકાલ સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 422 જેટલા ફોર્મ ભરાઈને આવ્યા હતા અને આજે વધુ 700 ફોર્મ ભરાયા છે.ચાર દિવસમાં 1 હજારથી વધુ ફોર્મ ભરાયા છે જેની તપાસ કરીને સહાય આપવા માટે કામગીરી ચાલું છે.
RAJKOT : રાજકોટમાં કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને આજ 26 નવેમ્બરથી સહાય ચુકવવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આજે 144 મૃતકોના પરિજનોના ખાતામાં 50 હજાર રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવી હોવાનું રાજકોટ જિલ્લા કલેકટરે જણાવ્યું છે.ગઈકાલ સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 422 જેટલા ફોર્મ ભરાઈને આવ્યા હતા અને આજે વધુ 700 ફોર્મ ભરાયા છે.ચાર દિવસમાં 1 હજારથી વધુ ફોર્મ ભરાયા છે જેની તપાસ કરીને સહાય આપવા માટે કામગીરી ચાલું છે અને લાભાર્થીના ખાતામાં ઓનલાઈન ચુકવણી કરવા તંત્ર ઝડપથી કામ કરતુ હોવાનુ કલેક્ટરે જણાવ્યુ છે.તો બીજી તરફ સરકારની સહાય તાત્કાલિક મળતા લાભાર્થીઓએ સમગ્ર તંત્રનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોરોના મૃત્યુસહાયનું નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વનો આદેશ કર્યો છે. 25 નવેમ્બરની મોડી રાત્રે આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે કોરોના મૃતકના પરિવારજનોને અરજીના ફક્ત 10 દિવસમાં સહાય ચૂકવી દેવામાં આવે. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આપેલા આદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. આદેશની સાથે એક ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું છે. સહાય માટે જાહેર કરાયેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ દર્શાવવાનો રહેશે.એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિનું સોગંદનામું અને બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.
આ પણ વાંચો : દેશમાં કૃષિ ક્ષેત્રે સંકટને સમજવા માટે સ્વતંત્ર કિસાન આયોગની થશે રચના: પી સાઈનાથ
આ પણ વાંચો : નવસારી-વિજલપોર નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજયમાં 40મો ક્રમ, પાલિકાની કામગીરી પર ઉઠયા સવાલો