DAHOD જિલ્લા તંત્ર કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા કેટલુ સજ્જ? જાણો શું કરી છે તૈયારીઓ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દી પણ આરોગ્યને લગતી સારવાર માટે દાહોદ આવતા હોય છે. જેના પગલે તંત્ર દ્વારા ત્રીજી લહેરને ડામવા સજ્જ થયેલ જોવા મળી રહ્યુ છે.
DAHOD: દાહોદ ટ્રાયબલ જીલ્લો છે અહીંયા હજી પણ જાગૃતીનો અભાવ છે. પ્રથમ અને બીજી લહેરમાં ઘણા પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. ત્યારે ત્રીજી લહેરનું નામ સાંભળી માનવીના રુવાડા ઉભા થઈ જાય છે અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દી પણ આરોગ્યને લગતી સારવાર માટે દાહોદ આવતા હોય છે. જેના પગલે તંત્ર દ્વારા ત્રીજી લહેરને ડામવા સજ્જ થયેલ જોવા મળી રહ્યુ છે. જીલ્લામાં 500 જેટલા ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. જેમા ખાસ કરી 100 બેડ બાળકો માટે રાખવામા આવ્યા છે. એક વર્ષ સુધીના બાળકો માટે 20 જેટલા નિઓનેટલ વેન્ટીલેટર તેમજ 20 જેટલા પેડીયાટ્રીકલ વેન્ટીલેટર તેમજ 60 જેટલા બાળકો માટે ખાસ ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
બીજી લહેરમાં ઓક્સિજન સપ્લાયની અછતની બાબતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા હવે દાહોદમાં ઓક્સિજન નિર્માણ અને સંગ્રહ ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આ માટે 6 કરોડની અલાયદી ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે.
TV9 સાથે ખાસ વાત કરતાં જિલ્લા કલેક્ટર ખરાડી જણાવે છે કે કોરોનાની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. દર વખતે જુદાજુદા વયજુથના લોકો સંક્રમિત થાય છે. બીજી લહેરમાં પણ આવું બન્યું છે. આ બાબતને ધ્યાને રાખીને ત્રીજી લહેરમાં શું સ્થિતિની સંભાવના રહી છે? તેનું વૈજ્ઞાનિક ઢબે આંકલન કરવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને બાળકોની સ્થિતિને ધ્યાને રાખીને તેમના માટે જરૂરી દવાઓ પ્રવાહી સ્વરૂપની હોય છે. તેથી આવી દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બાળકોના કોરોના વોર્ડ ચાઈલ્ડ ફ્રેન્ડલી બને એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.