Ahmedabad : રસી જ કરશે રક્ષણ, જાણીને અમદાવાદીઓ રજાના દિવસે રસી કેન્દ્રો પર ઉમટ્યા
કોરોના રસીને (Corona Vaccine) લઈને લોકો જાગૃત થયા છે. અમદાવાદમાં રવિવારના દિવસે રસીકરણ કેન્દ્ર (Vaccination Centre) પર લાઈન લાગી હતી.
કોરોનાની સામે માત્ર રસી જ રક્ષણ કરી શકશે તેવી હવે સૌ કોઈને જાણકારી મળી જતા, સૌ કોઈ કોરોનાની રસી લેવા માટે ઉત્સુક છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં રસીની સંખ્યા કરતા રસી મેળવનારાઓની સંખ્યા વધુ રહેવા પામી છે. જેના કારણે અનેક રસી કેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. રસીની માત્રા પૂર્ણ થતા, કેટલાયને રસી કેન્દ્ર પરથી નિરાશ થઈને પરત ફરવુ પડી રહ્યુ છે.
અમદાવાદમાં આજે રવિવારનો રજાનો દિવસ હોવાથી, લોકો રસી મેળવવા માટે સવારથી જ રસી કેન્દ્રો ઉપર ઉમટી પડેલા જોવા મળ્યા હતા. કોરોના વેક્સીનને (Corona Vaccine) લઈને લોકો જાગૃત થઇ રહ્યા છે. શનિવારે એક જ દિવસમાં અમદાવાદમાં 40 હજારથી વધુ લોકોએ રસી લીધી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 2433859 નાગરિકોએ પ્રથમ ડોઝ જ્યારે 580467 નાગરિકોએ બીજો ડોઝ મેળવ્યો છે.
અમદાવાદમાં રવિવારે રસીકરણ સેન્ટરો (Vaccination Centre) પર મોટી સંખ્યામાં શહેરીજનો પહોંચ્યા છે. કેટલાક સેન્ટર પર રસીના ટોકન અપાઇ ગયા હતા. ટોકન લેવા શહેરીજનો વહેલી સવારથી ઉમટ્યા હતા. ભાઈપુરા આરોગ્ય કેન્દ્ર પર ટોકન પૂરા થઇ જતા લોકોને ધક્કો થયો છે. રસીકરણમાં 18થી 45 વર્ષના વયજૂથના લોકોને મુશ્કેલી પડી રહી છે. 45થી વધુ ઉંમરના શહેરીજનોને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવી રહી છે રસી.