કેન્દ્રએ 8 YouTube ચેનલો પર લગાવ્યો પ્રતિબંધ, દુષ્પ્રચાર ફેલાવાનો હતો આરોપ
આ પ્રતિબંધો તે યુટ્યુબ ચેનલો પર લાદવામાં આવ્યા છે જે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા પર દુષ્પ્રચાર કરી રહી હતી. આ નિયંત્રણો IT નિયમો-2021 હેઠળ લાદવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે ફરી એકવાર યુટ્યુબ ચેનલો (YouTube channels)પર તવાઈ બોલાવી છે. કેન્દ્રએ 8 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે જે કથિત રીતે દુષ્પ્રચાર કરી રહી હતી. પ્રતિબંધિત 8 ચેનલોમાંથી સાત ભારતીય છે અને માત્ર એક ચેનલ પાકિસ્તાની છે. કેન્દ્રએ તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રતિબંધો તે યુટ્યુબ ચેનલો પર લાદવામાં આવ્યા છે જે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા પર દુષ્પ્રચાર કરી રહી હતી. આ નિયંત્રણો IT નિયમો-2021 હેઠળ લાદવામાં આવ્યા છે. જે ચેનલો પર પ્રતિબંધ (Channels Ban)મુકવામાં આવ્યો છે તેના 144 કરોડ વ્યુઝ અને 85.73 લાખ સબસ્ક્રાઈબર્સ હતા. કેન્દ્ર સરકારે કહ્યું કે આ ચેનલો દ્વારા ખોટા ભારત વિરોધી સમાચાર ચલાવવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આમાંથી કેટલીક યુટ્યુબ ચેનલ ભારતમાં ધાર્મિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક પ્રતિબંધિત યુટ્યુબ ચેનલો પર ખોટા દાવાઓ સાથેના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. આ યુટ્યુબ ચેનલો પર જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ખોટા દાવા કરવામાં આવ્યા હતા જેમ કે “ભારત સરકાર ધાર્મિક સ્થળોને તોડી પાડવાનો આદેશ આપી શકે છે; ભારત સરકાર દેશમાં ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની છે; “ભારતમાં ધર્મયુદ્ધની શરૂઆત” જેવા શીર્ષકો સાથેનું કન્ટેન્ટ અપલોડ કરવામાં આવી હતી.
આ સિવાય પ્રતિબંધિત યુટ્યુબ ચેનલો ભારતીય સુરક્ષા દળો, જમ્મુ-કાશ્મીર વિશે પ્રચાર કરી રહી હતી. આ ચેનલો પર અપલોડ કરવામાં આવેલું કન્ટેન્ટ સંપૂર્ણપણે ખોટી અને સંવેદનશીલ હોવાનું જાણવા મળ્યું હતું, જે રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય દેશો સાથે ભારતના સંબંધો માટે ખતરારૂપ હતા. કેન્દ્ર સરકારે કહ્યું કે 2021-22 દરમિયાન 78 યુટ્યુબ આધારિત ન્યૂઝ-ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે 560 YouTube લિંક્સ બ્લોક કરવામાં આવી હતી. કેન્દ્રીય IT મંત્રી અનુરાગ ઠાકુરે જુલાઈમાં લોકસભામાં જણાવ્યું હતું કે IT નિયમોની કલમ 69Aના ઉલ્લંઘનના આધારે ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.