મોદી સરકારની Twitter ને આખરી ચેતવણી, નવા આઈટી નિયમો લાગુ કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે
દેશમાં નવા આઈટી(IT) નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને સોશયલ મીડિયા જાયન્ટ Twitter વચ્ચે વિવાદ થયો છે. પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે ટ્વિટરને છેલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે આઇટીના નવા નિયમો સ્વીકારો અને લાગુ કરો નહીં તો પરિણામનો સામનો કરવા તૈયાર રહેજો.
દેશમાં નવા આઈટી(IT) નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને સોશયલ મીડિયા જાયન્ટ Twitter વચ્ચે વિવાદ થયો છે. પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે ટ્વિટરને છેલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે આઇટીના નવા નિયમો સ્વીકારો અને લાગુ કરો નહીં તો પરિણામનો સામનો કરવા તૈયાર રહેજો.
ટ્વિટરને સરકારે અંતિમ નોટિસ ફટકારી
સરકારે જાહેર કરેલી અંતિમ નોટિસમાં એવું કહેવામાં આવ્યું છે કે નવા આઇટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા માટે ટ્વિટર આઈટી(IT) એક્ટ હેઠળ જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકશે નહિ. ખરેખર સરકારે નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે ટ્વિટરને ભારત સરકારે અંતિમ નોટિસ ફટકારી છે.
કાયદા અનુસાર પરિણામો માટે જવાબદાર રહેશે
સરકારે કહ્યું કે, નવા નિયમોનું તાત્કાલિક પાલન કરવા માટે ટ્વિટર ઇન્ડિયાને અંતિમ નોટિસ આપવામાં આવી છે. આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ થવાથી તે આઇટી એક્ટ, 2000 ની કલમ હેઠળ ઉપલબ્ધ મુક્તિને ગુમાવશે અને આઇટી(IT) એક્ટ હેઠળ Twitter ભારતના અન્ય કાયદા અનુસાર પરિણામો માટે જવાબદાર રહેશે. એટલું જ નહીં સરકારે ટ્વિટરને કમ્પ્લાયન્સ અધિકારી સિવાય કંપનીના કોઈ કર્મચારીને ફરિયાદ અધિકારી અને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવા જણાવ્યું છે.
ટ્વિટરને છેલ્લી ચેતવણી આપતા પહેલા 4 જૂને મિટિંગ થઇ હતી
સરકારે કહ્યું કે સોશિયલ મીડિયા ઇન્ટરમીડીયરી અંગે જાહેર કરેલા નિયમો 26 મેથી અમલમાં આવ્યા છે અને તેના પાલન માટે ત્રણ મહિનાના સમયગાળા પછી Twitter પાસે ભારત સ્થિત ફરિયાદ અધિકારી અને નોડલ અધિકારી પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરને છેલ્લી ચેતવણી આપતા પહેલા 4 જૂને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં સંદેશાવ્યવહાર અને કાયદા અને ન્યાય અને આઇટીના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા.
ભારતના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પર્સનલ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી હતી
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ટ્વિટરે ભારતના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પર્સનલ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી હતી. જો કે થોડા કલાકો પછી ટ્વિટર દ્વારા ફરીથી એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી અને બ્લુ ટિક પરત મૂકી દેવામાં આવી હતી. આટલું જ નહીં ટ્વિટર દ્વારા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના ખાતામાંથી બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવી છે.