WTC 2021: ફાઇનલ મેચમાં પાર્થિવ પટેલના મતે ન્યુઝીલેન્ડ પર ભારે પડી શકે છે ભારતીય ટીમ, જાણો કેમ
કોરોના વાયરસને લઇ આઇપીએલ 2021 ને સ્થગીત કરી દેવા બાદ, હવે ફેન્સની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન્સશીપ (World Test Championship) ની ફાઇનલ અને ઇંગ્લેંડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ પર છે.
WTC 2021: કોરોના વાયરસને લઇ આઇપીએલ 2021 ને સ્થગીત કરી દેવા બાદ, હવે ફેન્સની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન્સશીપ (World Test Championship) ની ફાઇનલ અને ઇંગ્લેંડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ પર છે. ન્યુઝીલેન્ડ (New Zealand) સામે રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ માટે ભારતીય ટીમનુ એલાન ગત સપ્તાહ શુક્રવારે કરવામાં આવ્યુ હતુ.
જે ટીમમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને મહંમદ શામી જેવા ખેલાડીઓ પણ ટીમમાં પરત ફર્યા છે. આ ખેલાડીઓને લઇને ટીમની મજબૂતીમાં વધારો થયો છે. ફાઇનલ મેચ માટે પસંદ કરવામાં આવેલી ટીમને લઇને પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થીવ પટેલે (Parthiv Patel) પણ પોતાની રાય રાખી છે.
પાર્થિવ પટેલે કહ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે પસંદ કરવામાં આવેલી ટીમ ખૂબ મજબૂત નજર આવી રહી છે. જો તમે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ની તુલના કરો તો, આપણે દરેક ક્ષેત્રને ખૂબ સારી રીતે કવર કર્યુ છે. આપ ઝડપી બોલરોને જુઓ તો, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મહંમદ શામી સાથે સાથે મહંમદ સિરાજ અને ઉમેશ યાદવ છે.
જ્યારે બેટીંગ સંદર્ભે વાત કરતા પાર્થિવ પટેલે કહ્યુ હતુ કે, આપણી પાસે રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત અને હનુમા વિહારી જેવા બેટ્સમેનો છે. જેઓ ઇંગ્લેંડની ધરતી પર સારી બેટીંગ કરી શકે છે.
આ ઉપરાંત અમારી પાસે કેએલ રાહુલ પણ છે. જો રાહુલ પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન નથી મેળવી શકતા તો, આપ અંદાજ લગાવી શકો છો કે, અમારી ટીમ કેટલી મજબૂત છે. પાર્થીવ પટેલે કહ્યુ હતુ કે, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનનો સાથ હોવાને લઇને સ્પિન વિભાગમાં પણ જબરદસ્ત નજર આવી રહી છે.