Tokyo olympics: રમતોના મહાકુંભ ઉપર કોરોનાનો ખતરો, ટોકયોમાં સામે આવ્યા કોરોનાના 1832 નવા કેસ
જાપાનમાં કોરોના ( CORONA ) સંક્રમણના અત્યાર સુધીમાં 8.48 લાખ કેસ નોંધાયા છે અને 15 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
ટોક્યોમાં તમામ પ્રકારની સાવચેતી દાખવવા છતા, કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. રમતોના મહાકુંભ ગણાતા ઓલિમ્પિકની ( Tokyo olympics 2020) શરૂઆતના બે દિવસ પહેલા જ, જાપાનના યજમાન શહેર ટોક્યોમાં બુધવારે કોરોના વાયરસના નવા 1832 કેસ નોંધાયા હતા. બુધવારે ટોક્યોમાં નોંધાયેલા 1832 કેસ, છેલ્લા છ મહિનામાં (16 જાન્યુઆરીથી) સૌથી વધુ છે.
ટોક્યોમાં કોરોનાની સ્થિતિમાં યોજાનાર ઓલિમ્પિકને (Tokyo olympics) લઈને કટોકટીની સ્થિતિ લાગુ છે, જે 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. કોરોના વાયરસની મહામારી ફાટી નિકળ્યા બાદ, જાપાનમાં આ એવુ શહેર છે કે જ્યા ચોથીવાર કટોકટી લાગુ કરવી પડી હોય. ટોક્યો ક્ષેત્રના તમામ રમત-ગમત સ્થળોએ જવા આવવા માટે, રમતગમતના શોખીનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
માત્ર 23 ટકા લોકોને રસીકરણ ‘જાપાન મેડિકલ એસોસિએશન’ ના પ્રમુખ તોશીઓ નાકાગાવા માને છે કે જો ઓલિમ્પિકનું આયોજન ન કરવામાં આવ્યું હોત તો પણ કેસ વધ્યા હોત. નિષ્ણાતો કહે છે કે યુવા લોકોમાં રસીકરણના અભાવને કારણે કોરોના વાયરસના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. જાપાનમાં લગભગ 23 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, પરંતુ રસીકરણ અભિયાનને રસી અપુરતા જથ્થાના અભાવથી અસર થઈ છે. જાપાનમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 8.48 લાખ કેસ નોંધાયા છે અને 15 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
જાપાનના વડા પ્રધાન યોશીહિદ સુગાએ મંગળવારે અધિકારીઓને કહ્યું હતુ કે દુનિયાને દર્શાવવુ છે કે, જાપાન સુરક્ષિત રીતે ઓલિમ્પિક રમતોનું આયોજન કરી શકે છે. કોરોના રોગચાળા વચ્ચે જાહેર કરાયેલી કટોકટીની સ્થિતિમાં વિશ્વભરમાંથી હજારો ખેલાડીઓ, અધિકારીઓ, સ્ટાફ અને મીડિયા પર્સન જાપાન પહોંચી રહ્યા છે.
સુગાએ અહીંની ફાઈવ સ્ટાર હોટલમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યો સાથેની મીટિંગમાં કહ્યું કે, વિશ્વ કોરોના મહામારીની મોટી સમસ્યાઓથી ઘેરાયેલું છે, ત્યારે અમારે સૌને આ મહામારીમાં સુરક્ષિત રાખીને સફળતાપૂર્વક ઓલિમ્પિક્સનું આયોજન કરવું પડશે. તેમણે કહ્યું, જાપને આ વાત દુનિયાને બતાવવાની છે, અમે જાપાનના લોકોના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખીશું.
આઇઓસી પ્રમુખ થોમસ બાક બે અઠવાડિયા પહેલા ટોક્યો પહોંચ્યા ત્યારથી વિરોધનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઓલિમ્પિક રમતોત્સવ શાંતિ, એકતા અને સુમેળનો સંદેશ આપવા માટે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓલિમ્પિકને રદ કરવો એ ક્યારેય વિકલ્પ નથી. આઇઓસી પ્રમુખ થોમસ બાકે યજમાનની પ્રશંસા કરતાં કહ્યું કે, વિશ્વભરના અબજો લોકો ઓલિમ્પિક રમતની પ્રશંસા કરશે.