T20 World Cup 2021: પાકિસ્તાન સામેની હાર પર ભારતીય બોલિંગ કોચે કહી મોટી વાત, બોલરો પર ઉઠાવ્યા સવાલ
T20 વર્લ્ડ કપ 2021 માં ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હારી ગયું અને તેને ન્યુઝીલેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
T20 World Cup 2021: ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતને જીતનો મોટો દાવેદાર માનવામાં આવતો હતો, પરંતુ ટીમની પ્રથમ બે મેચમાં આ વિચાર સંપૂર્ણપણે બદલાઈ ગયો. ભારતીય ટીમ (Indian Team)ને પહેલા પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડે પણ ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હરાવ્યું હતું. ભારતના ખરાબ પ્રદર્શન પર ભરત અરુણે રવિવારે મોટી વાત કહી. ભરત અરુણે કહ્યું કે તે કોઈ બહાનું નહીં કાઢે પરંતુ એ વાત સાચી છે કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેની મેચમાં તેની પ્રતિભા અનુસાર પ્રદર્શન કર્યું ન હતું.
ભારતીય ટીમ સોમવારે તેની છેલ્લી લીગ મેચ નામિબિયા (Namibia) સામે સોમવારે રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ ભરત અરુણે મીડિયા સાથે વાત કરી અને પત્રકારોને કહ્યું કે, ભારતીય ટીમ (Indian Team) પાકિસ્તાન સામે સારી રીતે રમી શકી નથી. જોકે બોલિંગ કોચે એમ પણ કહ્યું હતું કે, દુબઈમાં યોજાનારી મેચોમાં ટોસની મોટી ભૂમિકા હોય છે, પરંતુ પાછળથી બેટિંગ કરનાર ટીમને ઘણો ફાયદો થઈ રહ્યો છે.
પાકિસ્તાન સામે સારું પ્રદર્શન નથી કર્યું: બોલિંગ કોચ
ભરત અરુણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હું કોઈ બહાનું નથી બનાવી રહ્યો પરંતુ આ વર્લ્ડ કપમાં જોવા મળ્યું છે કે, જે ટીમ ટોસ જીતે છે તેને ઘણો ફાયદો થાય છે, ખાસ કરીને જ્યારે તમે દુબઈમાં રમો છો. જ્યારે તમે પાછળથી બોલિંગ કરો છો, ત્યારે પીચ પર બેટિંગ કરવાનું સરળ બને છે. આ કોઈ બહાનું નથી, આપણે વધુ સારું કરવું જોઈએ. અમારી પ્રથમ મેચમાં અમારી પાસે ટાર્ગેટ બચાવવાની તક હતી પરંતુ અમારી બોલિંગ એવરેજ હતી.
2 મેચ હાર્યા બાદ ભારતનું પુનરાગમન
પ્રથમ બે મેચ હાર્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી હતી. તેણે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું અને તે પછી સ્કોટલેન્ડનો સ્કોર ટીમ ઈન્ડિયાએ માત્ર 39 બોલમાં હાંસલ કરી લીધો અને સેમીફાઈનલની રેસમાં પોતાની જાતને જાળવી રાખી. જો કે ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ એન્ટ્રી અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પર ટકી છે. જો આ મેચમાં અફઘાનિસ્તાન જીતશે અને તે પછી ટીમ ઈન્ડિયા નામીબિયા સામે વિજય મેળવશે તો માત્ર વિરાટ એન્ડ કંપની જ અંતિમ 4માં પહોંચી શકશે. આવું થવું મુશ્કેલ છે કારણ કે કિવી ટીમ શાનદાર ક્રિકેટ રમી રહી છે. ટીમ ઈન્ડિયા માટે આ મુશ્કેલી પ્રથમ બે મેચ હાર્યા બાદ જ ઉભી થઈ હતી.
આ પણ વાંચો : Euthanasia In New Zealand: ન્યુઝીલેન્ડમાં આજથી ‘ઈચ્છા મૃત્યુ’નો કાયદો અમલમાં આવ્યો, લોકો પોતાની મરજીથી મરી શકશે !