ભારતીય ફુટબોલ ટીમના મુખ્ય કોચે IPL પર વ્યક્ત કર્યો ગુસ્સો, કહ્યું- ક્રિકેટને કારણે ફૂટબોલને નુકસાન ન થવું જોઈએ
Football : ભારતીય ફુટબોલ ટીમ (Indian Football Team) ના હેડ કોચે IPL પર પોતાની ભડાસ કાઢતા કહ્યું કે તેના કારણે આઇએસએલ (Indian Super League) આગળ વધી નથી શકતું. તેણે પત્રકારો સામે એ પણ કહ્યું કે ક્રિકેટના કારણે ફુટબોલને નુકસાન થવું ન જોઇએ.
હોંગકોંગ પર ભારતની 4-0 થી જીત બાદ ભારતની ફૂટબોલ ટીમ (Indian Football Team) ના મુખ્ય કોચ ઇગોર સ્ટીમેક (Igor Stimac) એ વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ભારતે હોંગકોંગ સામેની એકતરફી મેચમાં મોટી જીત નોંધાવીને AFC એશિયન કપ માટે ક્વોલિફાય કર્યું છે. આ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઈગોર સ્ટીમેકે કહ્યું હતું કે તેમને લાગે છે કે ભારતીય ફૂટબોલના વિકાસ માટે તેને અસરકારક રીતે હેન્ડલ કરવું જોઈએ. ઇગોર સ્ટીમેકના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ કંબોડિયા, અફઘાનિસ્તાન અને હોંગકોંગને હરાવીને સતત ત્રણ મેચ જીતી અને ભારત સતત બીજી વખત કોન્ટિનેંટલ ઈવેન્ટ માટે ક્વોલિફાય થયું.
ભારતની ડોમેસ્ટિક સીઝન અંગે ઇગોર સ્ટીમેકે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “ફૂટબોલ કેલેન્ડર અંગે વસ્તુઓને ઉકેલવાની જરૂર છે. જે હજુ પણ આઈપીએલ (IPL) અને બ્રોડકાસ્ટિંગના સંદર્ભમાં એડજસ્ટ કરવામાં આવી રહી છે. જો અમે ભારતમાં ફૂટબોલને મહાન બનાવવા ઈચ્છતા હોવ તો તેને રોકવાની જરૂર છે. ફૂટબોલ કેલેન્ડર અન્ય વસ્તુઓ પર નિર્ભર ન હોવું જોઈએ.” ISL અને IPL બંને એક જ પ્લેટફોર્મ પર પ્રસારિત થાય છે. તમને જણાવી દઇએ કે સ્ટાર સ્પોર્ટ્સ પર બંને લીગ પ્રસારીત થતી આવી છે.
ક્રિકેટના કારણે ફુટબોલને નુકસાન થવું જોઇએ નહીંઃ કોચ ઇગોર સ્ટીમેક
આગામી પાંચ વર્ષ માટે $6 બિલિયનમાં વેચાયેલા IPLના મીડિયા રાઇટ્સ અંગે ભારતીય ફુટબોલ ટીમના કોચ ઇગોર સ્ટીમેક (Igor Stimac) એ કહ્યું કે, “ભારત માટે સારૂ છે કે ક્રિકેટ જેવી લોકપ્રિય રમત છે. પરંતુ બીજી રમત લોકપ્રિય થવાથી ડરવું જોઇએ નહીં. તેના માટે તેઓએ ફૂટબોલ માટે દરવાજા ખોલવાની જરૂર છે. અન્યથા તે થશે નહીં. ક્રિકેટને કારણે ફૂટબોલને નુકસાન ન થવું જોઈએ.”
ક્રોએશિયન લિજેન્ડ અને ભારતીય ફુટબોલ ટીમના કોચ ઇગોર સ્ટીમેક (Igor Stimac) કહ્યું, “ISL ભારતને ભારતીય ફૂટબોલના પ્રેમમાં પડવા દેશે નહીં. ફક્ત રાષ્ટ્રીય ટીમ જ તે કરશે.” ભારતીય ટીમ, સપોર્ટ સ્ટાફ સાથે 23 એપ્રિલના રોજ બેલ્લારીમાં ભાગી થઈ હતી અને 8 મે સુધી તાલીમ લીધી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ AFC એશિયન કપ ક્વોલિફાયરના યજમાન માટે કોલકાતા પહોંચી ગઈ હતી. જ્યાં સુધી ક્વોલિફાયર અને પરિણામો બહાર ન આવે ત્યાં સુધી કેમ્પ ચાલુ રાખી શકાય છે.