ભારતીય એથ્લેટ Aishwarya Mishra ગુમ થઈ નથી, ભાઈ અને કોચે કર્યો દાવો
ઐશ્વર્યા મિશ્રા (Aishwarya Mishra)એ ગયા મહિને ફેડરેશન કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તાજેતરમાં તેના ગુમ થવાના સમાચાર વાયરલ થયા છે અને હવે તેના પરિવારના સભ્યએ આ અંગે વાત કરી છે.
Aishwarya Mishra : ભારતીય ખેલ જગતમાં તાજેતરના સમયમાં એક સમાચારની જોરશોરથી ચર્ચા થઈ રહી હતી. આ સમાચાર મહિલા દોડવીર ઐશ્વર્યા મિશ્રા (Aishwarya Mishra)ના ગાયબ થવાના હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઐશ્વર્યાનો કોઈ અતોપત્તો નથી. જો કે આ સમાચાર પર ઐશ્વર્યાના કોચ અને ભાઈએ પોતે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે અને જણાવ્યું છે કે ઐશ્વર્યા ગુમ નથી પરંતુ તે વારાણસીમાં તેની દાદી સાથે છે, જેની તબિયત આ સમયે ખરાબ છે. ઐશ્વર્યા(Aishwarya)એ ગયા મહિને ફેડરેશન કપ એથ્લેટિક્સ (Federation Cup Athletics) માં મહિલાઓની 400 મીટરની રેસ જીતી હતી. તેણે આ રેસ 51.18 સેકન્ડમાં પૂરી કરી હતી. આ જ ટુર્નામેન્ટમાં તેણે 200 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પ્રદર્શનના આધારે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ તુર્કીમાં આયોજિત થનારા કેમ્પમાં તેની પસંદગી કરી હતી. ત્યાં એથ્લેટિક્સ ઈન્ટિગ્રિટી યુનિટ (AIU)ને ઐશ્વર્યા મળી ન હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે AIU કે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI)ને ઐશ્વર્યા વિશે જાણકારી નથી મળી રહી.
દાદીની સંભાળ રાખી રહી છે
TV9ની અંગ્રેજી વેબસાઈટ News9 સાથે વાત કરતા, દોડવીરના ભાઈ સંકેતે કહ્યું, “તે હાલમાં વારાણસીમાં છે અને અમારી દાદી સાથે છે જેઓ ખૂબ બીમાર છે.” સંકેતે ઐશ્વર્યા ગુમ હોવાના અહેવાલોને સખત શબ્દોમાં રદિયો આપ્યો હતો. સંકેતે કહ્યું કે તે ફોન પર ઉપલબ્ધ નથી કારણ કે તે આ સમયે દાદી સાથે છે અને તે તેના પરિવાર માટે મુશ્કેલ સમય છે.
કોચે આ વાત કહી
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ઐશ્વર્યા તુર્કી જવા માટે પણ નથી આવી. જોકે તેના કોચ સુમિતે કહ્યું હતું કે, રનરે ફેડરેશન કપ બાદ દિલ્હીમાં એક નહીં પરંતુ બે વખત રિપોર્ટ કર્યો હતો, તેણે ફોર્મ ભર્યું હતું અને મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો હતો. સુમિતે કહ્યું કે ઐશ્વર્યા ફેડરેશન કપ દરમિયાન ડોપ ટેસ્ટમાં ક્લિયર થઈ ગઈ હતી. તેણે કહ્યું, “મને સમજાતું નથી કે તેના ગુમ થવાના સમાચાર ક્યાંથી આવ્યા. આવા પ્રદર્શન પછી કોઈ ખેલાડી કેવી રીતે ગાયબ થઈ શકે છે.”
મહારાષ્ટ્ર એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી સતીશ ઉચિલે ન્યૂઝ9ને જણાવ્યું હતું કે તેઓ દોડવીરનો સંપર્ક કરી શક્યા નથી. તેણે કહ્યું, “તે તાજેતરમાં કોઈ રાજ્ય સ્તરની ટુર્નામેન્ટમાં આવી ન હતી. તેથી મારે તેની સાથે વાત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કારણ કે તે AFI કેમ્પમાં હતી અને મેં સાંભળ્યું હતું કે તે કેમ્પમાં પહોંચી નથી. તેથી હું થોડો ચિંતિત હતો. હું છેલ્લા 15 દિવસથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પછી મેં પણ હાર માની લીધી. મેં મારા તમામ સ્ત્રોતોમાંથી જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં.