IND vs SA: ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસને લઇ મોટુ અપડેટ, ટેસ્ટ અને વનડે રમશે, T20 બાદમાં રમાશે
ભારત આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થવાનું છે જ્યાં ટીમ સાત અઠવાડિયા સુધી ક્રિકેટ રમશે, પરંતુ હવે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આ મહિને યોજાનારી સાઉથ આફ્રિકા જશે પરંતુ માત્ર ટેસ્ટ અને વનડે રમશે.T20 શ્રેણી બાદમાં રમાશે. BCCI સેક્રેટરી જય શાહે આ જાણકારી આપી. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં માત્ર ત્રણ વનડે અને ત્રણ ટેસ્ટ મેચ રમશે જ્યારે ટી-20 શ્રેણી બાદમાં આયોજિત કરવામાં આવશે. કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે આ પ્રવાસ પર ઘેરા વાદળો ઘેરાઈ રહ્યા હતા અને એવી આશંકા હતી કે આ પ્રવાસ સ્થગિત અથવા રદ થઈ શકે છે પરંતુ બીસીસીઆઈએ કેટલાક ફેરફારો કરીને આ પ્રવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
ભારતનો આ પ્રવાસ 17 ડિસેમ્બરથી શરૂ થવાનો છે. જય શાહે ન્યૂઝ એજન્સીને કહ્યું, “બીસીસીઆઈએ સીએસએને કહ્યું છે કે ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચ માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. દરમિયાન ચાર મેચોની T20 શ્રેણી પછીથી રમાશે.
થોડું મોડું થઈ શકે છે
અગાઉ, સમાચાર એજન્સએ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે ટીમ પ્રવાસ પર જવા નિશ્વિત છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે BCCIને CSA દ્વારા બનાવવામાં આવેલા બાયો બબલમાં વિશ્વાસ છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા છીએ અને તે ચોક્કસ છે. જોકે, ભારતીય ટીમને બહાર નીકળવામાં થોડો સમય લાગી શકે છે. અગાઉ આ ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ બાદ તરત જ રવાના થવાની હતી.
દર્શકો વગર મેચ રમાશે
આ પ્રવાસ પરની મેચો દર્શકો વિના રમાશે. CSA માટે ભારતનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે TV પ્રસારણ અધિકારો દ્વારા આ પ્રવાસમાંથી કરોડો રૂપિયાની કમાણી કરશે. BCCI માટે સૌથી મોટો ફાયદો એ ભારત A પ્રવાસ છે જે હાલમાં ચાલી રહ્યો છે. ભારત-A હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે જ્યાં તેઓ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહ્યા છે.
અધિકારીએ કહ્યું, અમને મળેલી માહિતી એ છે કે CSA દ્વારા બનાવવામાં આવેલ બાયો બબલ સલામત છે. આ ઉપરાંત, અત્યાર સુધી એવો કોઈ ડેટા નથી જે કહી શકે કે આ વાયરસ કેટલો ખતરનાક છે. ઉપરાંત, અમને આ પ્રવાસ અંગે સરકાર તરફથી કોઈ માહિતી મળી નથી. ટીમ ટૂંક સમયમાં બાયો બબલમાં પ્રવેશ કરશે અને ચાર્ટર ફ્લાઇટ દ્વારા રવાના થશે. જો ત્યાં વિલંબ થાય તો પણ, તે બબલ ટુ બબલ ટ્રાન્સફર હશે, તેથી કોઈ કડક ક્વોરન્ટાઇનની જરૂર રહેશે નહીં.
જોકે, BCCI માટે સમસ્યા એ હોઈ શકે છે કે જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકાથી પરત આવશે તો તેની સાથે કેવી રીતે વ્યવહાર કરશે. કારણ કે રેઈનબો નેશનથી આવતા મુસાફરો માટે ભારત સરકારના ખાસ નિયમો છે.