IND vs ENG: મોટા સમાચાર ! ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની માચેસ્ટર ટેસ્ટ રદ કરી દેવાઇ, કોરોના એ બગાડી મજા!
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચને કોરોનાને લઇને રદ કરી દેવામાં આવી છે.
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે માંચેસ્ટરમાં યોજાનારી શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. આ નિર્ણય બંને દેશોના ક્રિકેટ બોર્ડની સંમતિથી લેવામાં આવ્યો છે. અગાઉ, આ ટેસ્ટ મેચ વિશે સમાચાર હતા કે તે શુક્રવારથી શરૂ થઈ શકશે નહીં. પરંતુ ત્યારબાદ બંને બોર્ડે પરસ્પર મંજૂરીથી તેને રદ કરવાનો નિર્ણય કર્યો. મેચ રદ થવા દરમ્યાન ટીમ ઇન્ડીયા સિરીઝમામાં 2-1 થી આગળ હતી.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના કેમ્પમાં વધતા જતા કોરોનાના પ્રમાણને જોતા, ટીમ ઇન્ડિયાએ મેદાન પર ઉતરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચને રોકી દેવાઇ હતી. ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2007 માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.
કોરોના એ બગાડ્યો માંચેસ્ટરનો દાવ
આ પહેલા ગુરુવારે ECB અને BCCI વચ્ચે ટીમ ઇન્ડિયાના બીજા ફિઝિયો યોગેશ પરમારના કોરોના પોઝિટિવ આવવા અંગે બેઠક યોજાઇ હતી. યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ RT-PCR ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેમાં બધાનું પરિણામ નેગેટિવ આવ્યું હતુ. જોકે તેના બાદ પણ કોરોનાની સમસ્યા ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ પર મંડરાઇ રહી હતી.
ટીમ ઇન્ડીયામાં કોરોનાની ચિંતાનુ કારણ પણ છે. હકીકતમાં યોગેશ પરમાર 5માં એવા વ્યક્તિ હતા, જે ટીમ ઇન્ડીયાથી જોડાયેલા હતા અને કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ રત અરુણ, ફિલ્ડીંગ કોચ આર શ્રીધર અને એક વધુ ફિઝીયો કોરોનાની ઝપેટમાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે માંચેસ્ટર ટેસ્ટ ટળવાને લઇને ક્રિકેટ ફેન્સની માફી માંગી છે. સાથે જ કહ્યુ છે કે, તેને લઇને ડિટેઇલ ઇન્ફોર્મેશન જલ્દીથી શેર કરવામાં આવશે.
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ નોટિંગહામમાં રમાઈ હતી, જે વરસાદના કારણે ડ્રો રહી હતી. આ પછી ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી. જ્યારે ઇંગ્લેન્ડે હેડિંગ્લે ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ જીતી હતી. ઓવલ પર, ભારતે 50 વર્ષ બાદ પ્રથમ જીત નોંધાવતા શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી.