ENG vs IND: રોહિત શર્મા જો બહાર રહેશે તો, શુભમન ગિલ સાથે ઓપનર કોણ હશે? અગ્રવાલ ઈંગ્લેન્ડ પહોંચીને પણ બહાર રહેશે!
ચેતેશ્વર પૂજારા અને શુભમમન ગિલની જોડી એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારત તરફથી શરુઆત કરી શકે છે. જોકે, રોહિત શર્મા (Rohit Sharma) ની જગ્યાએ બેકઅપ ઓપનર તરીકે મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડમાં બોલાવવામાં આવ્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચેની ટેસ્ટ મેચ રમાય એ પહેલા જ ભારતીય ટીમ ને મોટુ સંકટ આવ્યુ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) કોરોના સંક્રમિત થયો હોવાને લઈ આઇશોલેશન હેઠળ છે. આ દરમિયાન જોતે સ્વસ્થ થઈને પરત ફરતો નથી તો, ભારતીય ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી જસપ્રીત બુમરાહને મળી શકે એવી સંભાવનાઓ છે. પરંતુ તેના સ્થાને હવે ઓપનર કોણ હોઈ શકે છે? આ પ્રશ્નનો અંતિમ જવાબ હજુ મળવાનો બાકી છે. પરંતુ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ને આ જવાબદારી મળી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલની જોડી એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારત વતી શરુઆત કરી શકે છે.
જોકે, રોહિત શર્માની જગ્યાએ બેકઅપ ઓપનર તરીકે મયંક અગ્રવાલને ઈંગ્લેન્ડમાં બોલાવવામાં આવ્યો હતો. પરંતુ, મયંક અગ્રવાલ અત્યારે ટીમ મેનેજમેન્ટની પ્લેઈંગ ઈલેવનની યાદીમાં ફિટ હોય તેમ લાગતું નથી. કદાચ તેનું તાજેતરનું ફોર્મ આનું કારણ હોઈ શકે છે.
BCCIના સૂત્રોને ટાંકીને એક મીડિયા અહેવાલમાં કહ્યુ છે કે, મયંક નિઃશંકપણે રોહિત શર્માના બેકઅપ તરીકે ઈંગ્લેન્ડ આવ્યો છે, પરંતુ ચેતેશ્વર પૂજારા ટીમ માટે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. આ સિવાય હનુમા વિહારી અને કેએસ ભરત પણ ઓપનિંગના દાવેદાર છે. 2018ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હનુમાએ સારું પ્રદર્શન કર્યું હતું. તે જ સમયે, કેએસ ભરતે પ્રેક્ટિસ મેચમાં સારી ઇનિંગ રમી છે. જોકે, આશા છે કે પૂજારાને ઓપનિંગમાં તક મળી શકે છે.
પુજારા ઓપનિંગ કરશે તો વિહારી ત્રીજા નંબરે રમશે!
જો પુજારા એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરે છે, તો હનુમા વિહારી ત્રીજા નંબર પર રમતા જોવા મળી શકે છે, જે પૂજારાની વાસ્તવિક સ્થિતિ છે. આ સિવાય ભારત બેટિંગ ક્રમમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંતની સાથે જઈ શકે છે. બીજી તરફ બોલિંગ લાઇન અપમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ભારત ચોથા ફાસ્ટ બોલર તરીકે શાર્દુલ ઠાકુરને તક આપે છે કે પછી જાડેજા અને અશ્વિનની જોડીમાં વિશ્વાસ રાખે છે.
પૂજારાએ છેલ્લી 4 ટેસ્ટમાં 227 રન બનાવ્યા છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પટૌડી શ્રેણીની 5મી ટેસ્ટ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. આ પહેલા રમાયેલી 4 ટેસ્ટમાં ભારત 2-1થી આગળ છે. રોહિત શર્માનું બહાર થવું પણ ભારત માટે એક આંચકો છે કારણ કે તે 4 ટેસ્ટમાં તેણે ભારત માટે સૌથી વધુ 368 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 315 રન બનાવ્યા બાદ બીજો મોટો રનર હતો પરંતુ તે એજબેસ્ટન ટેસ્ટમાંથી પણ બહાર છે. તે જ સમયે, પૂજારાએ છેલ્લી 4 ટેસ્ટમાં 227 રન બનાવ્યા છે અને તે ભારત તરફથી ત્રીજા સૌથી સફળ બેટ્સમેન હતો.