WTC 2021: પ્રસિદ્ધ કૃષ્ણા આવતીકાલથી ટીમ ઈન્ડીયા સાથે જોડાશે, થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા
પ્રસિદ્ધ કૃષ્ણાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ અને ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા, જે પૈકી એક પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) પણ સંક્રમિત હતો. જોકે તે હવે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થઈ ચુક્યો છે. તે હવે ભારતીય ટીમ સાથે જોડાવવા માટે રવિવારે મુંબઈ માટે રવાના થનાર છે.
પ્રસિદ્ધ કૃષ્ણાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ અને ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાને ઈંગ્લેંડની ટીમ ભારત પ્રવાસે આવી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો.
તેને તે મોકો ઈંગ્લેંડ સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી દરમ્યાન મળ્યો હતો. કૃષ્ણાએ પોતાની બોલીંગ વડે સૌને પ્રભાવિત કર્યા હતા. હાલમાં તે પોતાના ઘરે બેંગ્લોર છે, જ્યાંથી તે મુંબઈ પહોંચશે અને જ્યાં તે ટીમ સાથે ક્વોરન્ટાઈન હેઠળ જોડાશે.
ટીમ ઈન્ડીયા આગામી 2 જૂને ઈંગ્લેંડ પ્રવાસ માટે રવાના થનાર છે. કૃષ્ણા ઉપરાંત કલકત્તાની ટીમમાંથી વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર અને ટીમ સીફર્ટ કોરોના પોઝિટિવ જણાયા હતા. હવે આ તમામ ખેલાડીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. કૃષ્ણા ઉપરાંત ઝડપી બોલર આવેશ ખાન, અર્જન નગવાસવાલા અને બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન પણ વધારાના ખેલાડી તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ છે.
આ પણ વાંચો: WTC 2021: દોઢ વર્ષથી શતક ઝંખતા વિરાટ કોહલીની ઇચ્છા જલ્દી પુરી થશે, પાકિસ્તાની ક્રિકેટરની આગાહી