T20 World Cup: પહેલા IPL ગુમાવ્યો અને હવે વિશ્વકમાંથી પણ બહાર, વિરાટ કોહલીની કેપ્ટનશિપની ના થઇ શકી ‘હેપ્પી એન્ડીંગ’
વિરાટ કોહલી (Virat Kohli) સોમવાર, 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે T20 ક્રિકેટમાં છેલ્લી વખત ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે, જે આ ફોર્મેટમાં કોઈપણ ટીમ માટે કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ હશે.
16 સપ્ટેમ્બર 2021 ના રોજ, ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં પરિવર્તનનો પાયો નાખવામાં આવ્યો, કારણ કે વિરાટ કોહલી (Virat Kohli) એ ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) પછી ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી. ત્રણ દિવસ પછી, કોહલીએ પણ જાહેરાત કરી કે તે IPL 2021 સીઝન પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશીપ છોડી દેશે. આવી સ્થિતિમાં T20 ફોર્મેટમાં છેલ્લી વખત પોતાની ફ્રેન્ચાઈઝી અને ભારતીય ટીમ (Team India) ની કેપ્ટનશિપ કરવા જઈ રહેલો કોહલી આ સફરને ટાઈટલ સાથે સમાપ્ત કરવા ઈચ્છતો હતો.
પરંતુ UAEમાં થોડા જ અઠવાડિયામાં કોહલીના આ સપના અને આશા બંને ચકનાચૂર થઈ ગયા. પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) IPL ના એલિમિનેટરમાં ટીમને હરાવી અને પછી ટી20 વર્લ્ડ કપમાં આગામી થોડા દિવસોમાં ટીમ ઈન્ડિયાની સફર તમામ અપેક્ષાઓ વિરુદ્ધ ઝડપથી સમાપ્ત થઈ ગઈ. અને આ રીતે કોહલી T20માં ટાઈટલ સાથે પોતાની ઝોળી ભરવાનું ચૂકી ગયો.
વિરાટ કોહલીએ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ સંપૂર્ણપણે સંભાળી લીધી હતી. ત્યારથી, તે ટીમનો કેપ્ટન હતો અને માત્ર એક જ વાર 2016 માં તે ખિતાબ જીતવાની ખૂબ નજીક આવ્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં તેની ટીમ ડેવિડ વોર્નરની સુકાની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હરાવીને ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું.
આ પછી કોહલીની કપ્તાનીમાં RCB 2020 અને 2021માં જ પ્લેઓફમાં પહોંચી શકી હતી. પરંતુ સતત બંને સીઝનમાં બેંગ્લોરને એલિમિનેટરમાં હારીને બહાર થવું પડ્યું હતું. છેવટે, લગભગ 9 સિઝન સુધી સતત ટીમનું સુકાન સંભાળ્યા પછી, કોહલીએ કોઈ પણ ખિતાબ વિના RCBની કેપ્ટનશિપ છોડી દેવી પડી.