વિરાટ કોહલી રમશે એશિયા કપ, સિલેક્ટર્સે કહ્યો પોતાનો પ્લાન, જાણો સમગ્ર મામલો
એવા રિપોર્ટ છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) સિલેક્ટર્સે પોતાનો પ્લાન જણાવ્યો છે અને કહ્યું છે કે તે એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે.
ભારતીય ક્રિકેટમાં અત્યારે સૌથી મોટો સવાલ વિરાટ કોહલીને (Virat Kohli) લઈને છે. વિરાટ ક્યારે રમશે, ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ અને દિમાગમાં આ જ વાત ચાલી રહી છે. પરંતુ હવે વિરાટ કોહલીએ આવા તમામ સવાલોનો જવાબ જાતે જ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને ભારતીય સિલેક્ટર્સને પોતાનો પ્લાન જણાવ્યો છે અને કહ્યું છે કે તે એશિયા કપ (Asia Cup) માટે ઉપલબ્ધ રહેશે. એટલે કે વિરાટ ભારતને એશિયાનો ચેમ્પિયન બનાવવામાં મદદ કરતો જોવા મળી શકે છે. એશિયા કપ પહેલા ઝિમ્બાબ્વેનો પ્રવાસ ટીમ ઈન્ડિયા કરવાની છે, જેના માટે ટીમની પસંદગી 30 જુલાઈએ કરવામાં આવી હતી. પહેલા એવા અહેવાલ હતા કે વિરાટ કોહલી પણ આ પ્રવાસમાં ટીમનો ભાગ બની શકે છે. પરંતુ 15 સભ્યોની ટીમમાંથી તેનું નામ નથી અને આનાથી માત્ર વિરાટનો બ્રેક લંબાયો જ નહીં પણ એ સવાલ પણ ઊભો થયો છે કે વિરાટ કોહલી આખરે ક્યારે પરત ફરશે?
વિરાટ કોહલી એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે- રિપોર્ટ્સ
હવે મીડિયા રિપોર્ટ્સમાં પીટીઆઈના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ પોતના પ્લાન વિશે ભારતીય સિલેક્ટર્સ સાથે ચર્ચા કરી છે. તેણે કહ્યું છે કે તે એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે. પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, વિરાટ કોહલીએ ભારતીય સિલેકટર્સ સમિતિને તેની ઉપલબ્ધતા વિશે જાણકારી આપી છે. તે એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે.
18-22 ઓગસ્ટ સુધી ઝિમ્બાબ્વે પ્રવાસ
આ દરમિયાન ભારતીય ટીમની કમાન ઝિમ્બાબ્વે પ્રવાસ પર ફરી એક વાર શિખર ધવન સંભાળતો જોવા મળશે. ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રવાસમાં કુલ 3 વનડે મેચ રમાશે. તમામ મેચ હરારેમાં યોજાશે. ભારતીય ટીમમાં આ પ્રવાસ માટે દીપક ચહર અને વોશિંગ્ટન સુંદર પરત ફર્યા છે.
આ સિવાય મોટાભાગના ખેલાડીઓ ત્યાં હશે જે હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રમી રહ્યા છે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર કેએલ રાહુલના જવાના પણ અહેવાલો હતા, પરંતુ રિકવરીમાં લાગેલા સમયને કારણે તેનું સ્થાન આ પ્રવાસમાં પણ ન બનાવી શક્યો. પરંતુ લાગે છે કે તે પણ એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે.