IPL માં કોહલી-રોહિતની દોસ્તી, RCB ને પ્લેઓફમાં પહોંચાડીને રોહિત શર્માએ કહ્યું ‘ઓલ ધ બેસ્ટ’
IPL 2022 Playoffs : પ્લેઓફમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની જીત સાથે બેંગ્લોરે (RCB) પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે.
પાંચ વખતની IPL વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) એ શનિવારે જીત સાથે IPL ને વિદાય આપી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 69મી મેચમાં મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે દિલ્હી ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. દિલ્હીની આ હારનો સીધો ફાયદો બેગ્લોરની ટીમને થયો હતો. પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઇ ગયેલ મુંબઈની જીત સાથે બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. દિલ્હીને હરાવ્યા બાદ મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે યારાના જોવા મળ્યો હતો.
મુંબઈના રંગમાં રંગાઇ બેંગ્લોર
જ્યારે રોહિત શર્માએ બેંગ્લોરને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે પૂર્વ બેંગ્લોર ટીમના સુકાની વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ટ્વિટર પર મુંબઈને ટેગ કરીને હેન્ડશેક ઇમોજી પોસ્ટ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અને તેના ચાહકો પણ મુંબઈ ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા હતા. બેંગ્લોરના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પણ સોશિયલ મીડિયા પર મુંબઈ માટે ચીયર કરી હતી. તે જ સમયે વિરાટ કોહલી મુંબઈને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય RCB એ પણ તેમના સત્તાવાર ટ્વિટર પર લોગોનો રંગ લાલથી વાદળી કરી દીધો હતો.
રોહિત શર્માએ આપી શુભેચ્છાઓ
દિલ્હીને હરાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, ‘અમે થોડા મોડેથી લયમાં આવ્યા હતા. પરંતુ ઓછામાં ઓછા અમે આ ટૂર્નામેન્ટમાંથી કેટલીક સકારાત્મક બાબતો લઈ શકીએ છીએ. RCB ને અભિનંદન, તેઓ ક્વોલિફાય થયા છે. હું પ્લેઓફમાં પહોંચેલી 4 ટીમોને શુભેચ્છા પાઠવું છું. શ્રેષ્ઠ ટીમ જીતે.’ રોહિતે કહ્યું કે અમે આગામી સિઝનમાં ભૂલોને સુધારવાનો પ્રયાસ કરીશું. 8 મેચ હાર્યા બાદ મુશ્કેલીઓ હતી. તેથી અમારે ભૂલો સુધારવાની જરૂર હતી. મને લાગે છે કે અમે સિઝનના બીજા ભાગમાં સારું પ્રદર્શન કર્યું હતું.
✈️ Kolkata @mipaltan 🤝 @RCBTweets
— Virat Kohli (@imVkohli) May 21, 2022
વિરાટ કોહલીએ કર્યું ટ્વિટ
તો બીજી તરફ RCB ના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ મુંબઈની જીત પછી એક ટ્વિટ કર્યું, જેમાં તેણે કોલકાતા લખ્યું અને ફ્લાઈટનું ઈમોજી મૂક્યું. આ પછી તેણે મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર ટીમને ટેગ કરતું હેન્ડશેક ઈમોજી પોસ્ટ કર્યું. વાસ્તવમાં બેંગલોરની ટીમ હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 25 મેના રોજ એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. જો હારેલી ટીમની સફર ખતમ થશે તો વિજેતા ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી જશે.