T20 World Cup: ભારત-પાકિસ્તાન મેચ પહેલા જ ટીમ ઇન્ડિયાના 4 ખેલાડીઓને પરત મોકલ્યા, BCCI નો મોટો નિર્ણય
ભારતીય ટીમે (Team India) 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટી20 વિશ્વકપ (T20 World Cup) ની પોતાની પ્રથમ મેચ રમવાની છે. આ ચાર બોલર દુબઈમાં ટીમ ઈન્ડિયા સાથે સ્પિનર્સ તરીકે હાજર હતા.
T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માં ભારતીય ટીમની પ્રથમ મેચ હવે માત્ર થોડા કલાકો દૂર છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબર રવિવારે દુબઈમાં પાકિસ્તાન (Pakistan) સામે પોતાના અભિયાનને શરૂ કરશે. આ મેચ માટે ભારતીય ટીમ (Indian Cricket Team) દુબઈમાં જ જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયાએ બે પ્રેક્ટિસ મેચ પણ રમી અને બંનેમાં જીત મેળવી ઠે. જો કે, પોતાની પ્રથમ મેચ રમતા પહેલા જ ટીમ ઈન્ડિયાએ કેટલાક બોલરોને ભારત પરત કર્યા છે.
વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં, નેટ્સમાં પ્રેક્ટિસ કરવામાં મદદ કરવા માટે, ભારતીય ટીમની સાથે કેટલાક બોલરોને દુબઈમાં રોકવામાં આવ્યા હતા. પરંતુ હવે આમાંથી 4 બોલરો ભારત પરત ફર્યા છે. જો કે, આ પછી પણ, વિરાટ કોહલી (Virat Kohli) અને તેની ટીમ સાથે 4 અન્ય બોલરો હશે, જે સમગ્ર ટુર્નામેન્ટ સુધી તૈયારીઓમાં મદદ કરશે.
UAE માં થોડા દિવસો પહેલા સમાપ્ત થયેલી IPL 2021 સીઝન પછી, ભારતીય ટીમ સાથે 8 બોલરોને ‘નેટ બોલર’ તરીકે ઉમેરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર, હવે સ્પિનરો કરણ શર્મા, શાહબાઝ અહમદ, કૃષ્ણપ્પા ગૌતમ અને વેંકટેશ અય્યર સ્વદેશ પરત ફર્યા છે. આ ચાર ખેલાડીઓ હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતપોતાના રાજ્યો માટે ઉપલબ્ધ રહેશે. આ સિવાય આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ અને લુકમન મેરીવાલાને દુબઈના બાયો-બબલમાં ટીમ સાથે રોકવામાં આવ્યા છે. આ ચારેય બોલર અંત સુધી ટીમ સાથે રહેશે.
આ કારણે બોલરો પરત ફર્યા હતા
ભારતીય ટીમે તેના સુપર-12 ના ગ્રુપમાં 5 મેચ રમવાની છે અને તે પછી જો ટીમ આગળ વધશે, તો સેમીફાઇનલ અને ફાઇનલ રમવાની તક મળશે. આ તમામ મેચો વચ્ચે માત્ર દિવસોનું જ અંતર છે અને આવી સ્થિતિમાં તૈયારી માટે વધારે સમય નહીં રહે અને તેથી તેમને પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયા રીપોર્ટમાં જણાવ્યું હતુ, એકવાર ટુર્નામેન્ટ શરૂ થયા પછી આટલા નેટ સેશન નહીં થાય. રાષ્ટ્રીય પસંદગીકારોને લાગ્યું કે આ બોલરો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમીને મેચ પ્રેક્ટિસ મેળવશે. મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટ 4 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.
સ્પિનરોને પરત કર્યા, પેસરોને સાથે રાખ્યા
ચાર પરત મોકલેલા બોલરોમાં 3 સ્પિનર છે, જ્યારે વેંકટેશ અય્યર એક મધ્યમ ઝડપી બોલર છે. વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં પહેલાથી જ રાહુલ ચાહર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને વરુણ ચક્રવર્તીના રૂપમાં ચાર મોટા સ્પિનરો છે. મોહમ્મદ શામી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરના રૂપમાં 4 ઝડપી બોલરો છે.
જો કે, ચાર રોકાયેલા બોલરો ઝડપી બોલિંગ કરે છે, જેમાં ટીમને ઉમરાન મલિક અને આવેશ ખાનની ઝડપી ગતિની સાંજની પ્રેક્ટિસની જરૂર પડશે. બીજી તરફ, હર્ષલ પટેલ ધીમા બોલનો જબરદસ્ત ઉપયોગ કરે છે અને યુએઈમાં તેની સામે પ્રેક્ટિસ મહત્વપૂર્ણ સાબિત થશે. તેનાથી વિપરીત, લુકમાન મેરીવાલા ડાબોડી ફાસ્ટ બોલર છે અને ટીમ ઈન્ડિયામાં કોઈ ડાબોડી ફાસ્ટ બોલર નથી, જ્યારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સહિત ભારતની વિપક્ષી ટીમોમાં ઘણા ડાબા હાથના ફાસ્ટ બોલર છે. તેથી મેરીવાલાને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.